લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સુધારા બંધારણીય બીલ પસાર થયું છે. રાજ્યસભામાં અનામત સુધારણા બીલની તરફેણમાં 187 વોટ પડ્યાં હતા.
OBC સમાજને મોદી સરકારને આપી મોટી ભેટ
લોકસભા બાદ હવે રાજ્યસભામાં પસાર થયું અનામત બીલ
રાજ્યોને મળશે 'વિશેષાધિકાર'
રાજ્યો પોતાની ઓબીસી યાદી તૈયાર કરી શકશે
ગુજરાતમાં પાટીદાર અને મહારાષ્ટ્રમાં મરાઠા સમૂદાયના અનામતનો માર્ગ મોકળો થયો
127 મા બંધારણીય સુધારા વિધેયક, જે રાજ્યોને ઓબીસી અનામત યાદીઓ તૈયાર કરવાની સત્તા આપે છે, તેને રાજ્યસભાની મંજૂરી મળી છે. સંસદના ઉપલા ગૃહમાં હાજર તમામ 186 સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો. આ પહેલા મંગળવારે લોકસભાએ પણ આ બિલને મંજૂરી આપી દીધી હતી.
હવે આ બિલ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે
હવે આ બિલ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમની સહી સાથે તે કાયદા તરીકે અમલમાં આવશે. આ અંતર્ગત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓબીસી અનામત માટે જાતિઓની યાદી તેમના સ્તરે નક્કી કરવાનો અને તેમને ક્વોટા આપવાનો અધિકાર હશે. તાજેતરમાં, મહારાષ્ટ્ર સરકારે આપેલા મરાઠા ક્વોટાને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ કેન્દ્ર સરકાર આ બિલ લાવી હતી.
ગઈ કાલે લોકસભામાં પણ એક પણ વોટ વિરોધમાં નહીં
લોકસભામાં OBC અનામત સુધારણા કાયદો પાસ થયો હોવાથી હવેથી રાજ્યો પોતાની ઓબીસી યાદી તૈયાર કરી શકશે. ઓબીસી અનામત સુધારણા કાયદાની તરફેણમાં 385 વોટ પડ્યાં હતા જ્યારે તેની વિરોધમાં એક પણ વોટ પડ્યો નહોતો.
રાજ્યો હવે પોતાની ઓબીસી યાદી બનાવી શકશે
લોકસભામાં બીલ પર ચર્ચા શરુ કરતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વિરેન્દ્ર કુમારે જણાવ્યું કે આ કાયદો બન્યા બાદ રાજ્ય સરકારો ઓબીસી લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર મળી જશે તથા મરાઠા અનામત જેવા મુદ્દે રાજ્ય સરકારો પોતાનો સ્વતંત્ર નિર્ણય લઈ શકશે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ આ બીલને ટેકો આપ્યો હતો. સાથે વિપક્ષી દળોએ અનામતની મર્યાદા 50 ટકા વધારવાની માગ પણ કરી હતી.
કેન્દ્ર સરકારની ભૂલને કારણે બિલ લાવવું પડ્યું-કોંગ્રેસ
ગઈ કાલે લોકસભામાં કોંગ્રેસના નેતા અને ગૃહમાં પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ 'બંધારણ (127 મો સુધારો) બિલ, 2021' પર ચર્ચા શરૂ કરતા આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની ભૂલને કારણે બિલ લાવવું પડ્યું. તે ઉત્તર પ્રદેશ અને કેટલાક રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લાવ્યા છે. પાર્ટીએ OBC થી સંબંધિત સુધારા બિલને ટેકો આપ્યો હતો. કહ્યું કે કેન્દ્ર સરકારે અનામતની 50 ટકા મર્યાદાને દૂર કરવાનું વિચારવું જોઈએ જેથી મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય અને અન્ય ઘણા રાજ્યોના લોકોને તેનો લાભ મળી શકે. “અમે આ બિલ પર ચર્ચામાં ભાગ લઈ રહ્યા છીએ કારણ કે તે બંધારણ સુધારા બિલ છે. તેને બે તૃતીયાંશ બહુમતીના સમર્થનની જરૂર છે. અમે એક જવાબદાર પક્ષ છીએ, તેથી અમે તેમાં ભાગ લઈ રહ્યા છીએ.
AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા
સદનના નીચલા ગૃહમાં AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર શાહ બાનોની તર્જ પર ઓબીસી અનામત બિલ લાવી છે. મુસ્લિમોને માત્ર તારીખો મળશે, અનામત નહીં. ચર્ચા દરમિયાન તેમણે પૂછ્યું કે ઓબીસીનું પેટા વર્ગીકરણ કેવી રીતે થશે? ઓવૈસીએ સરકાર પાસે અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવાની માંગ કરી હતી.