ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ- કન્યા છાત્રાલય આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગોને મોટી ભેટ આપી છે.
CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
દિવ્યાંગોને આજીવન દિવ્યાંગતા પાસ મળશે
વારંવાર મેડિકલ ચેકઅપની જરૂર નહીં
કાર્યક્રમમાં જાહેરાત કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હવેથી દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવા માટે વારંવાર ચેકઅપ કરાવવા માટે જવું પડશે નહીં, જ્યારે ST બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી આજીવન ધોરણે માન્ય ગણવામાં આવશે.
દિવ્યાંગ લોકો માટે મોટી જાહેરાત
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,હેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને હાડમારી વેઠવી પડતી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન કરવાનો નિર્ણય કર્યો છે.તો તેમણે પેરા ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવનાર અને અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ભાવિના પટેલની સિદ્ધિને પણ યાદ કરી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- મોસાળમાં પીરસનાર હોય તેવું લાગે છે
સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના લોકોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. જેમાં ભૂપેન્દ્ર પટેલે ને સવાલ પૂછાયો કે CM બન્યા બાદ કેવું લાગે છે. જેના જવાબમાં તેમને કહ્યું કે CM બન્યા બાદ મોસાળમાં પીરસનાર હોય તેવું લાગે છે.
વધુમાં તેમણે કહ્યું કે સરકારની સાથે જે ટ્રસ્ટ ઉભા છે તેમને સરકાર સાથ આપે જ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના મેમનગરમાં સૌરાષ્ટ્ર કેળવણી મંડળમાં ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમારોહ યોજાયો. આ સમારોહમાં નવા નિમણૂક થયેલા CM ભૂપેન્દ્ર પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિકલાંગ વ્યક્તિઓને 3 દિવસના કેમ્પ દરમિયાન હાથ-પગ બનાવી આપવામાં આવશે.