મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતો લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાના રવિ પાકની લણણી કરી શકે તેવા ઉદ્દાત ભાવથી રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થા ગોઠવી છે.
રવી પાકની લણણી માટે રાજ્ય સરકારે કર્યો નિર્ણય
કાપણી માટે હાર્વેસ્ટર, થ્રેશર, રીપર જેવા સાધનોની અવરજવરની છૂટ
તદનુસાર,રવિ પાકના ખેડૂતોને પાક લણવાનો આ સમય છે, તેથી પાક કાપણી માટે હાર્વેષ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાયવર, મજૂરો વગેરેને આ હેતુસર અવરજવરની છૂટ રહેશે. પાકની કાપણી પછી કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે પાક સંગ્રહ ગોડાઉન સુધી પાક લઈ જવાની છૂટ રહેશે.
ખેડૂતોને રવી પાક લણવા માટે મશીનો લઇ જવાની અપાઇ છૂટ
ઉલ્લેખનીય છે કે, બાગાયત પાકો અને ઉનાળુ પાકના મર્યાદિત વિસ્તારોમાં પીયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડુતોને અવરજવરની છૂટ રહેશે. પીયત માટે વીજ પુરવઠો થોડા દિવસ દિવસે અને થોડા દિવસ રાત્રે આપવા માં આવતો હોય છે. આથી રાત્રિ પાવર હોય તે દિવસોમાં આવા મર્યાદિત ખેતરના ખેડુતોના રાત્રિ વીજળી પુરવઠાના દિવસે પૂરતાં રાત્રે ખેતરે જઈ આવી શકશે.
આ સાથે જ ખેડૂતના અન્ય પરિવારજનોને લોકડાઉનનું પાલન કરવાની કરી અપીલ
આ સાથે જ ફળ અને શાકભાજીના ખેડુતોના ઉત્પન્નો જલ્દી નાશ પામતાં હોઈ તે પણ માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ રહેશે. મુખ્યમંત્રીએ આ સિવાયના અન્ય ખેડૂતો પોતાના ઘરમાં જ રહીને લોકડાઉનનું પાલન કરી કોરોના ના સંક્રમણ થી બચે તેવી હાર્દભરી અપીલ પણ કરી છે