સરકારે કુદરતી આફતની સહાયમાં કર્યો ધરખમ વધારો, મંત્રીઓને ત્રણ દિવસ ગાંધીનગરમાં રહેવા આદેશ
કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણય
સરકારે વધારી કુદરતી આફતની સહાય
મંત્રીઓને ત્રણ દિવસ ગાંધીનગરમાં રહેવા આદેશ
આજે ગુજરાત સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કુદરતી આફતોમાં સહાયમાં વધારા થી માંડીને તમામ મંત્રીઓને સપ્તાહમાં 3 દિવસ ગાંઘીનાગરમાં હાજર રહી લોકોના પ્રશ્નો ઉકેલવાનો મોટો નિર્ણય ભૂપેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ આજે જ નિમાયેલા સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે નિમાયેલા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
સરકારે વધારી કુદરતી આફતની સહાય
કેબિનેટ બેઠકમાં પહેલો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે છે કુદરતી આફતમાં મળતી સરકારી સહાય, જો હાલની સ્થિતિની વાત કરી તો સૌરાષ્ટ્રમાં પહેલા તાઉતે વાવાઝોડાએ અને બાદમાં થોડા દિવસ પહેલા વરસાદે ભયંકર તબાહી મચાવી છે લોકોની ઘરવખરી સહિત ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પડ્યું છે. સરકારે પહેલાથી જ સહાય માટે સર્વેની કામગીરીનો આદેશ આપી દીધો છે. ત્યારે પૂરપાટ ઝડપે ચાલી રહેલી સર્વેની કામગીરી વચ્ચે સરકારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય કરી કુદરતી આફતની સહાયમાં ધરખમ વધારો કર્યો છે. જેમાં ઘરવખરી સહાય વધારીને 7 હજાર , અંશત: કાચા મકાનો માટે રૂ.10 હજારની સહાય, કાચા મકાનો માટે 9800 રૂપિયાની સહાય, દુધાળા પશુઓ માટેની સહાય 30 હજારથી વધારી 50 હજાર કરવાંઆ આવી છે. આ સહાય વધારાનો સીધો જ ફાયદો પૂર અસરગ્રસ્તોને મળશે.
પુર પીડિતોની વહારે સરકાર આવી: વાઘાણી
સહાયના ધારા ધોરણમાં સુધારો વધારો કરવામાં આવ્યો
ઘરવખરી સહાય રૂપિયા 3800 તેમાં વધારો કરીને રૂપિયા 7000 કરવામાં આવી
પૂરસહાયમાં રૂપિયા 4,100ને બદલે રૂપિયા 10,000 સહાય કરવામાં આવી
અંશતઃ કાચ મકાનો રૂપિયા 3,200ને બદલે હવે રૂપિયા 10,000ની સહાય
પશુ ઢોર મૃત્યુ નુકશાની અંગે સહાયમાં પણ કરાયો વધારો
દૂધાળાના પશુઓની સહાયમાં અગાઉ રૂપિયા 30,000 અપાતા હતા
હવેથી રૂપિયા 50 હજાર સહાય મળશે અને 3 ને બદલે 5 પશુઓ કરવામાં આવ્યા
મંત્રીઓને ત્રણ દિવસ ગાંધીનગરમાં રહેવા આદેશ
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં બીજો મોટો નિર્ણય: સોમ, મંગળ અને બુધવારે મંત્રીઓને અચૂક ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપી દેવાયો છે, લોકોના પ્રશ્નો સાંભળવા માટે અધિકારીઓને પણ હાજર રહેવા માટે પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની આ પહેલથી લોકો અને કાર્યકર્તા સીધા જ તેમના પ્રશ્નો મંત્રીઓ સુધી પહોંચાડી શકશે. જેથી સરકારને આગળ કામ કરવામાં તેમજ ચૂંટણી લક્ષી ઢંઢેરામાં કયા મુદ્દા વધુ પડતાં લોકોને હેરાન કરી રહ્યા છે તે અંગે પણ તાગ મેળવી શકાશે. સરકારના આદેશ બાદ હવે આવતા સોમ મંગળ અને બુધ વારે તમામ મંત્રીઓ સહિત અધિકારીઑની ફોજ પણ ગાંઘીનગરમાં જ જોવા મળશે.
રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી સરકારના મુખ્ય પ્રવક્તા
આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જે બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમા ગુજરાત સરકાર દ્વારા બે મંત્રીઓને પ્રવક્તા બનાવામાં આવ્યા છે. ગુજરાત ભાજપ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને અત્યારથી પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમા પાર્ટી દ્વારા મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે. આપને જણાવી દીએ કે જે મંત્રીઓને સરકારના પ્રવક્તા બનાવામાં આવ્યા છે. તે બે મંત્રીઓના નામ રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી હોવાનું સામે આવ્યું છે.