કોરોનાકાળમાં સતત 2 વર્ષથી મળતા માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓને પાયો કાચો જોવા મળ્યો છે. માસ પ્રમોશનને કારણે આ વર્ષે ધોરણ 9 અને 11માં મોટી સંખ્યામાં બાળકો નાપાસ થયા છે. ત્યારે રાજ્યમાં ધો-9 અને 11માં નાપાસ થયેલા વિધાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે.13 જૂન સ્કૂલ શરૂ થયા બાદ ધો-9-11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રી ટેસ્ટ લેવામાં આવશે.
શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાને કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડી છે. બાળકોના અભ્યાસ પર અસર પડતા નિર્ણય લેવાયો છે.
શાળા સંચાલક મંડળની રજૂઆત બાદ લેવાયો નિર્ણય
ગત મે મહિનાના 9 તારીખના રોજ રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ બોર્ડને પત્ર લખવામાં આવ્યો હતો. અને રજૂઆત કરવામા આવી હતી કેધોરણ 9 અને 11માં ફરીથી પરીક્ષા લેવામાં આવે. રાજ્ય શાળા સંચાલક મંડળે માગ કરતા જણાવ્યું કે, સતત બે વર્ષથી મળતા માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓને નુકસાની થઇ રહી છે. આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં ધોરણ 9 અને 11ની પરીક્ષા ફરીથી લેવાની જરૂર છે. જે બાદ રાજ્ય સરકારે ધો-9-11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રી ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે પરીણામ તો ધોરણ-૧૦નું 6 જૂને રિઝલ્ટ આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ તારીખ આવતીકાલ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦8:૦૦ કલાકે જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦6/૦6/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ થશે.