અમદાવાદ રિંગ રોડથી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 45 ગામો માટે ઔડાએ એક મોટો નિર્ણય કર્યો છે. જેમાં જળ જીવન મિશન અંતર્ગત અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ 45 ગામોને પીવાનું પાણી આપવામાં આવશે.
અમદાવાદના રીંગ રોડથી 3 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામો માટે મોટા સમાચાર
45 ગામોને થશે મોટો ફાયદો
અમદાવાદ શહેરી સત્તામંડળે આપી મંજૂરી 100 કરોડ પીવાના પાણી માટે ફાળવ્યા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરી સત્તામંડળનું 2021-22નું બજેટ મંજૂર થયું છે. જેમાં જળ જીવન મિશન અંતર્ગત અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ 45 ગામોને પીવાનું પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરી સત્તામંડળે આપી મંજૂરી
અમદાવાદ શહેરી સત્તામંડળ દ્વારા મંજૂર કરવામા આવેલ ગામમાં ઘુમા, મોટેરા, ત્રાગડ, ઝુંડાલ, મણીપુર, ગોધાવી, નાના ચિલોડા, સીંગરવાને હવે પાણી મળશે. બોપલ વિસ્તારમાં વોટર સપ્લાય પ્રોજેક્ટ માટે વધુ 36 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 73 કરોડના ખર્ચે બોપલ વિસ્તારમાં હાલ પીવાના પાણીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
પ્રોજેક્ટ માટે 100 કરોડની ફાળવણી
ઉલ્લેખનીય છે કે, જળ જીવન મિશન માટે ભારત સરકાર 40 ટકા અને ગુજરાત સરકાર 60 ટકા નાણા આપે છે. જળ જીવન મિશન અંતર્ગત ઓડોએ 45 ગામો માટે 267 કરોડનો પ્લાન બનાવ્યો છે. પ્રોજેક્ટ અમલી કરવા માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
તો ઘુમા રેલવેબ્રિજ, સનાથલ જંક્શન, શાંતિપુરા, ભાડજ અને ઝુંડાલ બ્રિજ માટે 235 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદના રીંગ રોડ પર બની રહેલા બ્રિજથી અમદાવાદ-ગાંધીનગરની કનેક્ટિવીટી સરળ બનશે.