ઉત્તર ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે કસરા-દાંતીવાડા પાઈપલાઈન અને ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના કામને મંજૂરી આપી દીધી છે.
ઉત્તર ગુજરાતની જનતા માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
કસરા-દાંતીવાડા પાઈપલાઈન અને ડીંડરોલ-મુક્તેશ્વર પાઇપલાઈનને મંજૂરી
રાજ્ય સરકારના નિર્ણયથી બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી છલકાશે
મહત્વનું છે કે, કસરા-દાંતીવાડા પાઈપલાઈનથી બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી ભરાશે. પાટણના બે તાલુકાના 96 તળાવ પણ ભરવામાં આવશે. આશરે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારને પૂરતું પાણી મળશે.
પાલનપુર અને વડગામ તાલુકાના ગ્રામજનોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને એક મહત્વના નિર્ણયરુપે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કસરા-દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ. 1566.25 કરોડના કામોને મંજુરી આપી છે. તેમજ ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના રૂ. 192 કરોડના કામોને પણ મંજુરી આપી છે.
ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન દ્વારા નર્મદાનું 100 ક્યુસેક પાણી વહન કરી મુક્તેશ્વર ડેમમાં લવાશે. જે થકી બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઈવાળા ગામોની 20,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અને વડગામ તાલુકાના 24 ગામોનાં 33 તળાવો તેમજ પાટણ-સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોના 9 તળાવો ભરાશે.
તાજેતરમાં જ 125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખ્યા હતા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બનાસકાંઠાના 125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખ્યા હતાં. PMને પોસ્ટકાર્ડ લખીને મહિલા ખેડૂતોએ પાણી માટેની માંગ કરી હતી. મહિલા ખેડૂતો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા પાણી માટે 'પોસ્ટકાર્ડ આંદોલન' ચલાવવામાં આવ્યું.
125 ગામની મહિલા ખેડૂતોએ PMને લખ્યા હતા પોસ્ટકાર્ડ
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામ (Vadgam) નું કરમાવાદ તળાવ (KARMAVAD LAKE) અને મુક્તેશ્વર ડેમ (Mukteshwar Dam) ભરવાની માંગ સાથે 125 ગામની હજારો બહેનોએ PM મોદી (PM Narendra Modi) ને પત્ર લખીને પોસ્ટકાર્ડ મોકલ્યા હતાં.
કરમાવાદ તળાવ-મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવા સરકારને કરાઇ છે વારંવાર રજૂઆત
તમને જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે ભૂગર્ભ જળ ઊંડા ગયા છે. તો બીજી તરફ વડગામનું કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમ પણ તળિયા ઝાટક થતા વિસ્તારના ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે બૂમબરાડા કરી રહ્યાં હતાં. મહત્ત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પહોંચાડવા કોઈ કેનાલ કે અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે. જો કે સ્થાનિકો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં અત્યાર સુધી તેઓની માંગ ન સ્વીકારાતા છેલ્લાં કેટલાંક દિવસોથી આ વિસ્તારના લોકો દ્વારા જળ આંદોલન છેડાયું હતું.