રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ભ્રષ્ટાચારના લાગેલા આરોપ પર ચુપ્પી તોડી કહ્યું કે મારી સામે લાગેલા આક્ષેપોની ઉચ્ચ અધિકારીઑ તપાસ કરી રહ્યા છે.
રાજકોટ પોલીસ બેડામાં થઇ શકે છે મોટા ફેરફાર
મનોજ અગ્રવાલી, PI વી.કે.ગઢવી, PSI સાખરાનું નિવેદન લેવાની તજવીજ
ભષ્ટ્રાચારના આક્ષેપો બાદ પોલીસ કમિશનરની અધિકારીઓ સાથે બેઠક
ધારાસભ્યના લેટરબોમ્બ બાદ પોલીસ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ પોલીસ બેડામાં હવે મોટા પાયે ફેરફારની ઘડીઓ ગણાઈ રહી છે. ભષ્ટ્રાચારના આક્ષેપો બાદ પોલીસ કમિશનરે અધિકારીઓ સાથે બેઠક કરી છે. તો સામે CP મનોજ અગ્રવાલ પર થયેલા આક્ષેપો અંગે ગૃહ વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. સમગ્ર બાબતે હવે મનોજ અગ્રવાલ, PI વી.કે.ગઢવી, PSI સાખરાને નિવેદન માટે ગૃહ વિભાગનું તેડું આવ્યું હોવાની વાતે જોર પકડ્યું છે.
હવે પોલીસ બેડામાં સાફ-સફાઈ પર સરકારની બાજ નજર
બોર્ડ નિગમમાં ધડાધડ રાજીનામા બાદ હવે રાજ્ય સરકારની નજર ગૃહ વિભાગ પર છે. વરસોથી પોલીસ કમિશનર કે પોલીસ ખાતામાં મનગમતા પોસ્ટીંગ પર 'જાળા'ની જેમ બાઝી ગયેલા પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલીના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર વિવાદ અને ધારાસભ્ય / સંસદની ફરિયાદ ઘણી ગંભીર રીતે જોવાતા, બોર્ડ-નિગમની માફક હવે પોલીસ ખાતામાં પણ મોટો ઘાણવો ઉતરશે
ગુજરાતની રાજનીતિમાં અત્યારે સુથી વધુ ચર્ચાની એરણે રાજકોટ છે. સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સભાના સાંસદે લગાવેલા આરોપથી રાજનીતિ અને પ્રસાશનિક 'જુગલબંદી'ની બૂ' આવી રહી હોવાની પ્રતીતિ નાગરિકોને થઇ રહી છે. રાજકોટના સોની વેપારીએ પોલીસ પર લગાવેલા આરોપ બાદ હવે લાકડાના વેપારી મુદ્દે પોલીસ ઘેરાઈ છે. કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપ પછી રાજકોટ કમિશનર ભૂગર્ભમાં ઉતારી ગયા હતા.જે બાદ આજે પ્રેસ સંબોધન પણ કર્યું હતું.
મારી સામે લાગેલા આક્ષેપો પર તપાસ ચાલું છે : અગ્રવાલ
સમગ્ર મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું કે મારી સામે રજૂઆત કરવામાં આવી છે તપાસ ચાલી રહી છે. જેથી હુ પ્રતિક્રિયા નહી આપું. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે સમગ્ર કેસમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે હુ મારું કોઈ સ્ટેટમેન્ટ નહી આપું મારી સામે લાગેલા આક્ષેપોની તપાસ ચાલી રહી છે.
MLA ગોવિંદ પટેલને સમર્થન
રાજકોટ ભાજપના MLA ગોવિંદ પટેલના સમર્થનમાં ભાજપના ઘણા નેતાઓ આવ્યા છે. જેમા ખાસ કરીને અરવિંદ રૈયાણી અને સાંસદ રામ મોકરિયા પણ તેમના સમર્થનમાં આવ્યા છે. સાંસદ રામ મોકરિયાએ પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
સાંસદ મોહન કુંડારિયા અને MLA લાખાભાઈએ અંતર જાળવ્યું
તો બીજી તરફ આ સમગ્ર મામલે સાંસદ મોહન કુંડારિયાએ હજુ સુધી કોઈ નિવેદન નતી આપ્યું સાથેજ MLA લાખભાઈ સાગઠીયા દ્વારા પણ કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું અને બંને જણાએ આ મામલે અંતર જાળવ્યું છે. જેથી કહી શકાય કે રાજકોટ શહેર ભાજપમાં એક જૂથ આ મામલે કમિશનર પર ગંભીર આક્ષેપો સ્વીકારી રહ્યું છે જ્યારે અન્ય જૂથ આ મામલે મૌન સેવી રહ્યું છે.