આ સ્ટાર ખેલાડીને ઈજાને કારણે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેને રિહેબ માટે બેંગલુરુ ખાતેની એનસીમાં જવાનું કહેવામાં આવ્યું છે
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો બૂમરાહ ટી-20 વર્લ્ડકપમાંથી પણ બહાર થાય તેવી શક્યતા
જેમ જેમ ટી-20 ક્રિકેટનો વિસ્તાર થઈ રહ્યો છે તેમ તેમ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના મામલા વધી રહ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ ઈજાને કારણે એશિયા કપ-2022માં રમવાનો નથી. આ સ્ટાર ખેલાડીને ઈજાને કારણે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેને રિહેબ માટે બેંગલુરુ ખાતેની એનસીમાં જવાનું કહેવામાં આવ્યું છે. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે બૂમરાહની ઈજા ગંભીર છે અને તેના ટી-20 વર્લ્ડકપમાં પણ રમવા પર શંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બૂમરાહની આ ઈજા જૂની છે, જે ફરીથી વકરી છે.
"Yes, it's concerning Jasprit Bumrah's injury. He is back in rehab and will get the best medical advice available. The problem is it's his old injury and that is what is concerning." - A Senior BCCI Official (To InsideSport)
બીસીસીઆઇનાં સૂત્રોએ કહ્યું, ''બૂમરાહની ઈજા જૂની છે, જે ચિંતાનો વિષય છે.'' ૨૮ વર્ષીય બૂમરાહે ઈંગ્લેન્ડ સામે જુલાઈમાં વન ડે શ્રેણીની બે મેચ રમી હતી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓવલમાં બૂમરાહે 19 રન આપીને છ વિકેટ ઝડપી હતી, જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
બીસીસીઆઇ સૂત્રોએ વધુમાં જણાવ્યું, ''હા, આ ચિંતાનો વિષય છે. તે રિહેબ માટે જવાનો છે અને તેને સર્વોત્તમ મેડિકલ એડ્વાઇઝ મળશે. સમસ્યા એ છે કે તેની આ ઈજા જૂની છે. ટી-20 વર્લ્ડકપ માટે આપણી પાસે માત્ર બે મહિનાનો સમય છે અને બૂમરાહને આ ઈજા સૌથી ખરાબ સમયમાં થઈ છે. અમે તેની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તે સર્વશ્રેષ્ઠ બોલર છે અને હાલ સાવધાનીથી સ્થિતિને સંભાળવાની જરૂર છે.''
બૂમરાહ છેલ્લાં બે વર્ષમાં ટીમ માટે ૮૨ મેચમાંથી ૫૦ એટલે કે લગભગ ૬૧ મેચમાં રમ્યો નથી. ટી-20 ક્રિકેટનો વ્યાપ વધ્યો હોવાથી ખેલાડીઓની ઈજામાં 10 ટકા વધારો થયો છે, જેનો સૌથી વધુ ભોગ ફાસ્ટ બોલર બની રહ્યા છે. ફાસ્ટ બોલરની ઈજાના પ્રમાણમાં ૧૮ ટકા સુધી વધારો થયો છે. વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે જોડાયેલા ૨૮ ખેલાડી ઈજાને કારણે મેદાનની બહાર છે.
સતત ક્રિકેટ અને આઇપીએલને કારણે ખેલાડીઓ બહુ ઝડપથી ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ભારતના 17 ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. રોહિત શર્મા પણ વિન્ડીઝ સામે શ્રેણીની અંતિમ ટી-20 મેચમાં ઈજાને કારણે રમી શક્યો નહોતો. આ ઈજાઓ ભારત માટે ચિંતાનો વિષય છે, કારણે કે આ વર્ષે ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લડકપમાં રમવાનું છે.
બૂમરાહ ઉપરાંત હર્ષલ પટેલને પણ ઈજાને કારણે એશિયા કપની ટીમ માટે પસંદ કરવામાં આવ્યો નથી. યુએઈમાં રમાનારા એશિયા કપ માટે ભારતે ટીમમાં ત્રણ ફાસ્ટ બોલરને સામેલ કર્યા છે, જેમાં ભુવનેશ્વરકુમાર, આવેશ ખાન અને અર્શદીપસિંહનો સમાવેશ થાય છે.