પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મોટો આંચકો મળ્યો હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ભાજપે તૃણમૂલ કોંગ્રેસના ગઢ ગણાતા નંદીગ્રામમાં સહકારી નાગરિક સંસ્થાની ચૂંટણી જીતી લીધી છે. નોંધનિય છે કે, તે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીનો મતવિસ્તાર છે. એક જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, ભાજપે ભેકુટિયા સાંબે કૃષિ સમિતિની 12માંથી 11 બેઠકો જીતી છે, જ્યારે એક બેઠક તૃણમૂલ કોંગ્રેસના ફાળે ગઈ છે. આ ચૂંટણી રવિવારે યોજાઈ હતી અને આ દરમ્યાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં સહકારી નાગરિક સંસ્થાની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં બંને પક્ષોએ એકબીજા પર હિંસાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે તૃણમૂલ પર ચૂંટણીમાં વિક્ષેપ પાડવા માટે બહારના લોકોને લાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તૃણમૂલે આ જ આરોપો શુભેન્દુ અધિકારી પર લગાવ્યા છે.
આ તરફ ચૂંટણી જીતનાર ભાજપના ઉમેદવારે આક્ષેપ કર્યો હતો કે, તૃણમૂલે ચૂંટણીમાં અવરોધ લાવવા માટે બહારના લોકોને લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મતદારો દ્વારા તેમની યોજનાને નિષ્ફળ બનાવી દેવામાં આવી હતી. નંદીગ્રામ એ મમતા બેનર્જીના ભૂતપૂર્વ સહાયક શુભેન્દુ અધિકારીનો મતવિસ્તાર છે, જેમણે 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ છોડી દીધું હતું અને બંગાળની ચૂંટણીના થોડા મહિના પહેલા ભાજપમાં જોડાયા હતા.