કોંગ્રેસ પાર્ટીમાં ફરી વાર ભૂકંપ આવે તેવા સમાચાર સામે આવ્યા છે જેમા દિગ્ગજ નેતાઓએ એક સાથે રાજીનામાં ધરી દેતા હાઇકમાંડનું ટેન્શન વધ્યું છે.
કોંગ્રેસને ફરી લાગ્યો જોરદાર ઝટકો
પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોએ એક સાથે આપ્યા રાજીનામાં
તમામ નેતાઓ ગુલામ નબી આઝાદનાં નજીકનાં હોવાની માહિતી
કોંગ્રેસમાં ફરી સામૂહિક રાજીનામાં,
જમ્મૂ કાશ્મીરમાં કોંગ્રેસ પાર્ટીને ફરીવાર જોરદાર ઝટકો લાગ્યો છે, પાર્ટીના સાત દિગ્ગજ નેતાઓએ એક સાથે પોતાના રાજીનામાં સોનિયા ગાંધીને મોકલી આપ્યા છે અને આ બધા જ નેતાઓ ગુલામ નબી આઝાદની ટીમનાં માનવામાં આવે છે અને નેતૃત્વ પરિવર્તનનાં કારણે આ નેતાઓ નારાજ હોવાનું સામે આવ્યું છે. નારાજ નેતાઓનો દાવો છે કે પાર્ટીનાં મુદ્દાઓ પર વાત મૂકવા માટે પણ તેમને અવસર આપવામાં આવ્યો નથી. નોંધનીય છે રાજીનામું આપનારાઓમાં ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારાસભ્યો સામેલ છે, કોંગ્રેસ આટલા મોટા ખળભળાટ પહેલા જ ગુલામ નબી આઝાડે જમ્મૂ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો.
પાર્ટીમાં મચ્યો ખળભળાટ
સાત નેતાઓએ સોનિયા ગાંધીની સાથે સાથે રાહુલ ગાંધી અને પ્રદેશ પ્રભારી રજીની પાટિલને પણ રાજીનામું મોકલાવ્યું છે. જે બાદ પાર્ટીમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. રાજીનામું આપનારાઓએ આરોપ લગાવ્યો કે પ્રદેશ નેતાઓ દ્વારા દુશ્મનો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. રાજીનામું આપનારા કાશ્મીરનાં નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પ્રદેશ અધ્યક્ષ જીએ મીરનાં કારણે જ કાશ્મીરમાં પાર્ટીની આજે આવી હાલત થઈ ગઈ છે, તેમના કારણે કોંગ્રેસનાં 200 નેતાઓ પલાયન કરીને જતાં રહ્યા છે.
હાઇકમાંડ નથી કરતું ચર્ચા
રાજીનામું આપનાર નેતાઓએ કહ્યું કે હાઇકમાંડ પાસે પણ આ મુદ્દે સમય માંગવામાં આવ્યો હતો પરંતુ કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નહીં, છેલ્લા એક વર્ષથી ગાંધી પરિવારનાં નેતાઓ મળવાનો ટાઈમ પણ આપતા નથી. આટલું જ નહીં ઓગસ્ટ મહિનામાં જ્યારે રાહુલ ગાંધી કાશ્મીર આવ્યા ત્યારે પણ કોઈ સાથે મીટિંગ ન કરી.