રાજુલાઃ એકરતફ જીજ્ઞેશ મેવાણી દિલ્લીમાં સભા ગજવી રહ્યા છે. દલિત આંદોલનની ધુરા સંભાળી રહ્યા છે. તો બીજીબાજુ જે ઉનાકાંડના પીડિતોએ આક્ષેપ કર્યો છે કે જીજ્ઞેશ મેવાણીએ ઉનાકાંડનો ફાયદો ઉઠાવ્યો છે.
ઉનાકાંડને પગલે જીજ્ઞેશ મેવાણીને એક ઓળખ મળી. જે ઉનાકાંડને મુદ્દો બનાવી આજે જીજ્ઞેશ મેવાણી દલિતો પર અત્યાચારની વાત કરી રહ્યા છે. એજ ઉનાકાંડના પીડિતોનો આક્ષેપ છે કે જીજ્ઞેશ મેવાણી દોઢ વર્ષમાં ક્યારેય અમને મળવા માટે આવ્યા નથી. જીજ્ઞેશ મેવાણી ફક્ત ભાષણબાજી કરે છે.
જીજ્ઞેશ મેવાણી ઉનાકાંડને પગલે આજે નેતા બની બેઠા છે. પરંતુ જીજ્ઞેશ ફક્ત પોતાનો અંગત સ્વાર્થ સાધી રહ્યા છે. દલિતોના નેતા થવા માટે ઉનાકાંડનો ફાયદો જીજ્ઞેશે ઉઠાવ્યો હોવાનો આક્ષેપ પીડિતોએ કર્યો છે. અને કહ્યુ કે તેઓ વાયદાઓ પ્રમાણે કામ નથી કરી રહ્યા. જીજ્ઞેશ ઉનાકાંડના પીડિતોને ન્યાય અપાવી શક્યા નથી.
બીજીબાજુ આ પીડિતોએ હવે નક્કી કર્યું છે કે જો તેમને ન્યાય નહીં મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવશે. જેની તૈયારી પણ ચાલી રહી છે. ઉનાકાંડના પીડિતોએ જીજ્ઞેશની મહાત્વાકાંક્ષાની પોલ ખોલી દીધી છે.
જીજ્ઞેશે ઉનાકાંડનો ફાયદો ઉઠાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તો હવે જોવાનું એ રહેશે કે જીજ્ઞેશ મેવાણી વાસ્તવમાં દલિતોનો અવાજ સાંભળે છે કે નહીં. તેમ જ આ આક્ષેપો સામે કોઈ જવાબ તેમની પાસે છે કે નહીં.