હાલમાં કૃષિ બિલ પસાર કરીને મોટા ભાગના ખેડૂત સંગઠનોનો ખૌફ વહોરનાર મોદી સરકાર હવે ખેડૂતો ને રીઝવવા નીકળી છે, સરકારે ખરીફ પાકોની ખરીદી પર ખેડૂતોને તાત્કાલિક પૈસાની ચુકવણીનું એલાન કર્યું છે, ખરીફ પાકની સરકારી ખરીદી 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ફંડનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર છે કે મગફળી ખરીદી માટેના નોંધણીની પ્રક્રિયા 1 ઓક્ટોબરથી શરુ થવા જઈ રહી છે.
મોદી સરકારે ખરીફ પાકોની ખરીદી કરવા માટે જાહેર કર્યું 20000 કરોડ જેટલું ફંડ
ગુજરાતમાં પણ મગફળીની ખરીદી માટે 1 ઓકટોબરથી શરૂ થશે નોંધણી પ્રક્રિયા
મોદી સરકાર પંજાબ, હરિયાણા અને છત્તીસગઢ માંથી પણ કરવાની છે ચોખાની ખરીદી
દેશના ખેડતો હાલમાં કૃષિ બિલ ના વિરોધ માટે પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર સંપૂર્ણ સજાગ છે. ખરીફ પાકની સરકારી ખરીદી 1 ઓક્ટોબરથી શરૂ થનાર છે. આથી, ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પૈસાનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો છે.
આનો અર્થ એ થયો કે ખરીફ પાક વેચતા ખેડૂતો ને પોતાના પાકના પૈસા મેળવવા માટે વધુ સમયની રાહ જોવી પડશે નહીં. કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબરથી પંજાબ અને હરિયાણામાં સરકારી ખરીદી શરુ કરી દેવા માટેની પ્રોસેસ શરુ કરવા કહ્યું છે.
ગુજરાત માં પણ શરૂ થશે મગફળી ખરીદીની પ્રક્રિયા
ગુજરાત માં પણ રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુ એ કેરેલી જાહેરાત મુજબ મગફળીની ખરીદી માટે NAFED દ્વારા પ્રોસેસ શરુ કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1 ઓક્ટોબરથી જ શરૂ થઈ જશે જે 20 ઓકટોબર સુધી ચાલશે. જેના બાદ સરકાર દ્વારા 21 ઓકટોબરથી વિધિવત મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ જશે. NAFED દ્વારા આ મામલે ગુજરાત અન્ન પુરવઠા નિગમને નોડલ એજન્સી જાહેર કરાઇ છે.
રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો કે આ વખતે 21 મી ઓક્ટોબરથી મગફળીની ખરીદી સહૃ કરાશે, જે 90 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે. જેના બાદ કઠોળ પાકોની પણ ખરીદી યોજવાનું સરકાર વિચારી રહી હોવાની માહિતી સામે આવી હતી.
રાજકોટના તમામ યાર્ડમાં કરશે મગફળીની ખરીદી
રાજકોટમાં આ મુદ્દે 1 ઓક્ટોબરથી જ તમામ યાર્ડમાં મગફળી ખરીદી માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. આ માટેની તમામ સત્તા રાજકોટ જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે. આ વખતે મગફળી ની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ની MSP એટલે કે ન્યૂનતમ કિંમત પ્રતિ મણ 1055 રૂપિયા રાખવામાં આવી છે. મગફળી માટે 1055 રૂપિય પ્રતિ મણના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે.
અગાઉ થોડા સમય પહેલા બહાર આવેલા મગફળી ખરીદી કૌભાંડ ની જેમ આ વખતે કૌભાંડ ટાળવા માટે સંપૂર્ણ ખરીદ પ્રક્રિયા CCTV કેમેરના મોનીટરીંગ હેઠળ કરવાના પણ આદેશો અપાયા છે. રાજકોટ જિલ્લાના દરેક યાર્ડમાં આ વખતે મગફળીની ખરીદી કરવાંઅ આવશે, જે 21 ઓકટોબરથી શરૂ થશે.
ખરીફ પાકની ખરીદી માટે 19,444 કરોડ મંજૂર
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા ન્યૂનતમ ટેકાના ભાવે ડાંગર એટલે કે ચોખા ની ખરીદી માટેના પ્રથમ હપતા તરીકે 19,444 કરોડની મંજૂરી અપાઈ છે. હરિયાણા, તેલંગાણા અને છત્તીસગઢ માં પણ MSP અપાયા છે. સરકારના આ પગલાથી રાજ્ય સરકાર ની એજન્સીઓને તાત્કાલિક ખરીદી અભિયાન શરૂ કરવામાં મદદ મળશે. મીડિયા અહેવાલો અનુસાર, છત્તીસગઢ ને સૌથી વધુ 9000 કરોડ રૂપિયા અપાયા છે. હરિયાણાને 5,444 કરોડ અને તેલંગાણાને 5,500 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર એ ચાલુ નાણાકીય વર્ષ માટે ચોખાની ખરીદી માટે ડાંગર ની અલગ અલગ સ્પીસીઝની MSP ક્વિન્ટલ દીઠ રૂ. 1,868 અને 1,888 રૂપિયા નક્કી કર્યા છે. ખરીફ માર્કેટિંગ સીઝનમાં સરકારે પંજાબથી 113 લાખ ટન ચોખા અને હરિયાણાથી 44 લાખ ટન ચોખા ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 2020-21 ખરીફ સીઝન માટે સમગ્ર દેશ માટે કુલ ચોખા ખરીદ લક્ષ્યાંક 495.37 લાખ ટન રાખવામાં આવ્યા છે.