નવી દિલ્હીઃ જેટ એરવેઝનાં શેર વેચવા માટે બેન્કો તરફથી બિડિંગ પ્રક્રિયા જારી છે અને ૧૦મેં સુધીમાં આ પ્રક્રિયા પૂરી થશે. એરલાઇન્સનું ભવિષ્ય તેનાં પર નિર્ભર છે. દરમિયાન એસબીઆઇ ઉપરાંત હવે જેટ એરલાઇન્સને બચાવવા સરકારી કંપની એર ઇન્ડિયા પણ આગળ આવી છે.
જેટને લોન આપનાર કરજદાર બેન્કોની આગેવાની કરી રહેલ એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે એર ઇન્ડિયાના ચેરમેન અને એમડી અશ્વિની લોહાની સાથે મુલાકાત કરી હતી, જેમાં જેટ એરવેઝનાં પાંચ વિમાન એર ઇન્ડિયાને એક મહિના સુધીમાં મળી જશે. આમ, એસબીઆઇએ જેટ એરવેઝને બચાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. દરમિયાન જેટ એરવેઝનાં કર્મચારીઓને મીડિયા સાથે વાત નહીં કરવા આદેશ કરાયો છે, કારણ કે તેનાથી બિડિંગ પ્રક્રિયા પ્રભાવિત થઇ શકે છે.
બિડિંગ પ્રક્રિયા અંગે બેન્કોએ જણાવ્યું છે કે જે કંપનીઓએ શરૂઆતમાં બિડ આપી હતી તેમને આખરી બિડ આપવા ૧૬ એપ્રિલ બિડ ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા છે. એસબીઆઇના નેતૃત્વમાં ૨૬ બેન્કોએ જેટને રૂ. ૮,૫૦૦ કરોડનું કરજ આપેલું છે. દરમિયાન દિલ્હી અને મુંબઇમાં જેટ એરવેઝના ખાલી પડેલા ૪૪૦ સ્લોટ પારદર્શક રીતે અન્ય એરલાઇન કંપનીઓને ફાળવાશે.