કેન્દ્ર સરકારના આદેશનાં પગલે નવો ટ્રાફિક નિયમ દેશભરમાં અમલી બનાવવામાં આવ્યો છે. જો કે, દંડની રકમને લઇને દેશભરના નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે તો વળી કેટલાક રાજ્યો એવા પણ છે કે, જ્યાં સ્થાનિક સરકાર દ્વારા આ કાયદાને અમલી બનાવવા પર નનૈયો ભણવામાં આવ્યો છે.
આ તરફ ગુજરાતમાં નિયમ અમલી બનાવાયાના ગણતરીના દિવસોમાં નાગરિકોની સુવિધા માટે નિયમના અમલીકરણની મુદ્દત એક મહિના સુધી વધારવામાં આવી છે. ત્યારે રાજાશાહી સમયમાં સૌરાષ્ટ્ર પંથકના ગોંડલમાં સાયકલ ચલાવવા માટે પણ લાયસન્સ લેવું પડતું હતું તે ભાગ્યે જ કોઇ વ્યક્તિ જાણતું હશે. ત્યારે સાયકલના લાયસન્સની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
સાયકલનું લાયસન્સ ?
આવો પ્રશ્ન આવે ત્યારૂ પ્રથમ વખતમાં જાણીને જરૂર આશ્ચર્ય થાય પરંતુ આ સત્ય છે. રાજાશાહી સમયમાં ઘોડાગાડી કે બળદગાડાનો જમાનો હતો. મોટરકાર તો પછી આવી અને તે પણ અંગ્રેજો કે સ્ટેટ પરિવારો પુરતી જ મર્યાદીત હતી. પરંતુ આ સમયગાળામાં પરીવહનનું મહત્વનું સાધન સાયકલ હતી. ગોંડલ સ્ટેટમાં એવો રીવાજ હતો કે, સાયકલ ચલાવવા માટે પણ લાયસન્સ લેવાની જરૂર પડતી.
ભગાબાપુના હસ્તાક્ષરવાળા લાયસન્સમાં 14 નિયમો હતા
નોંધનીય છે કે, પ્રજાકલ્યાણના કાર્યો તથા કુશળ વહીવટદાર તરીકે જાણીતા ગોંડલ નરેશ ભગવતસિંહજીના કાર્યકાળમાં સાયકલ ચલાવવા માટે લાયસન્સ લેવું પડતું હતું. સાયકલ ધારકને ગોંડલના પ્રજાવત્સલ રાજવી ભગવતસિંહજીના હસ્તાક્ષર ધરાવતું નવ પાનાની પુસ્તિકાવાળુ લાયસન્સ એટલે કે પરવાનો આપવામાં આવતો હતો. આ પુસ્તિકામાં દર્શાવવામાં આપવામાં આવેલ 14 નિયમોનું પાલન સાયકલ ચાલકે ગંભીર રીતે પાલન કરવું ફરજિયાત હતું. જેનું ઉલ્લંઘન કરનાર સામે કેસ દાખલ થતો હતો અને ગુનો સાબિત થાય તો પાંચ રૂપિયાનો મહત્તમ દંડ ફટકારવાની જોગવાઇ કરવામાં આવી હતી. મહારાજા ભગવતસિંહજી પોતાના કુશળ વહીવટ માટે ખૂબ જ જાણીતા હતા અને તેમના પ્રજાલક્ષી કાર્યો માટે તેમની જનતા તેમને 'ભગા બાપુ'ના હુલામણા નામે સંબોધન કરતી હતી.
શું હતા લાયસન્સના નિયમો ?
સાયકલના લાયસન્સ માટે નિયમો ખૂબ જ કડક હતા. લાયસન્સ એક વખત કઢાવ્યા બાદ ત્રણ વર્ષ સુધી તે માન્ય ગણાતું ત્યારબાદ તેને ફરીવાર રીન્યુ કરાવવું પડતું હતું. લાયસન્સની બુક ઉપર સાયકલનાં ચિત્ર સાથે ગ્રામ પંચાયતનો ઉલ્લેખ કરવામાં આવતો તથા કાળા રંગની શાહીથી 'ખાનગી સાયકલનું લાઈસન્સ' લખાયેલુ જોવા મળતું હતું.
ગોંડલ રાજ્યમાં સાયકલની લાયસન્સ બુકમાં નિયમો લખાયેલા હતા કે, બાઇસિકલ ચાલકને જમણી તરફ વળવાનું હોય ત્યારે પાછળ આવનારને ચેતવણી આપવા પોતાનો જમણો હાથ જમણી બાજુ સીધો લાંબો કરવાનો રહેશે. ફુટપાથ કે લોકોની જાનમાલની સલામતી જોખમાય તેવી રીતે કે ઝડપભેર સાયકલ ક્યારેય ચલાવવી નહીં. રાત્રે સાયકલ ચલાવવી હોય તો આગળ ”ટમટમિયું” અથવા લેમ્પ રાખવો પડતો હતો.
સાયકલ સવારને સ્થાનિક પોલીસ દ્વારા ઉભા રહેવાના સૂચનો મળે ત્યારે ઉભા રહેવું તથા ભાડે લઈ જનાર જો ગુન્હો કરે તો તેનું નામ જણાવવાની ફરજ સાયકલ ભાડે આપનાર ઉપર રહેશે. આ સાથે જ રાજના નક્કી કરવામાં આવેલ નિયમોનું જો ઉલ્લંઘન થાય અને તે રાજની અદાલતમાં સાબિત થયેથી પાંચ રૂપિયા સુધીનો દંડ ભોગવવો પડતો. લાયસન્સમાં સાયકલના પરવાનેદારનું નામ, પિતાનું નામ, જ્ઞાાતિ, સરનામુ અને પરવાના નંબરની નોંધ રહેતી. લાયસન્સમાં રાજ્યના પોલીસ સુપ્રીડેન્ડન્ટના પણ સહી સિક્કા રહેતા. આજે પણ ભગાબાપુના હસ્તાક્ષર ધરાવતા સાયકલના લાયસન્સ કેટલાક લોકો પાસે યાદગીરી રૂપે સચવાઇને પડ્યા છે.
પ્રજાવત્સલ રાજવી આજે પણ લોકોના હ્રદય અને સંસ્મરણોમાં હયાત છે
ગોંડલના રાજવી ભગવતસિંહજીએ કરેલા પ્રજાલક્ષી કાર્યોને લઇને આજે પણ જનતાના હ્રદયમાં અનોખું સ્થાન અને સન્માન ધરાવે છે. તેમના કાર્યકાળમાં નગર વ્યવસ્થા, ગટર વ્યવસ્થા તથા પાણીના સંગ્રહ માટેના ભૂગર્ભ કૂવાની યોજાનાને આજે પણ ગોંડલમાં જોવા મળે છે. મહારાજા ભગવતસિંહજીનું 9 માર્ચ માર્ચ 1944 માં દેહાવસાન થયું હતું.