છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે શુક્રવારે સીએએ અને એનઆરસી પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પર મોટો હુમલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે અણબનાવ થઈ ગયો છે, જેના કારણે આખો દેશ મુશ્કેલી ભોગવી રહ્યો છે.
છત્તીસગઢના મુખ્યમંત્રીનું મોટું નિવેદન
અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે અણબનાવ
પુલવામા હુમલાને લઇને સાધ્યું નિશાન
રાજ્યમાં યોજાયેલી નગર ચૂંટણીઓમાં કોંગ્રેસની સફળતા અંગે રાજધાનીમાં યોજાયેલ જનમતને સન્માનિત કરવાના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન બધેલે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હતા અને હાલની સરકારના સાત મહિના ગૃહમંત્રી અમિત શાહના છે. છેલ્લા કાર્યકાળમાં પ્રધાનમંત્રી મોદીએ નોટબંધી, જીએસટી વગેરે લાવ્યા હતા, ત્યારબાદ વર્તમાન સાત મહિનામાં ગૃહમંત્રી સીએબી, સીએએ, કલમ 37૦, રામ મંદિરનો મામલો લાવ્યા.
પુલવામા હુમલાને લઇ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
બધેલે ઉમેર્યું કે, "પ્રધાનમંત્રી કહે છે કે દેશમાં એનઆરસી લાગુ થશે નહીં, પરંતુ ગૃહમંત્રી કહે છે કે એનઆરસી લાગુ થશે. લાગે છે કે બંને વચ્ચે અણબનાવ છે, જેમાં દેશની જનતા પીસાઇ રહી છે. આ સાથે જ પુલવામા હુમલા સંદર્ભે બધેલે કેન્દ્ર સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, " પુલવામામાં જે રસ્તા પર પક્ષીને પણ મારી શકાતું નથી. તેના પર મોટી સંખ્યામાં વિસ્ફોટક લઇને કાર કેવી રીતે પહોંચી અને તે વાહનને ટક્કર કેવી રીતે મારી જે બખ્તરબંધ નહોંતું અને જેમાં જવાનોએ બુલેટ પ્રુફ જેકેટ પહેર્યા નહોંતા.
ભારત સરકારને કર્યો સવાલ
આ હુમલામાં 40 જવાન શહીદ થયાં હતા ત્યારે પણ સવાલ કર્યો હતો અને આજે પણ કહી રહ્યો છું કે, ભારત સરકારે તપાસના આદેશ કેમ ન આપ્યા ? તાજેતરમાં જ આતંકીઓ માટે કામ કરવાના ગુનામાં ઝડપાયેલા ડીએસપી દેવિન્દર સિંહનો ઉલ્લેખ કરતા બધેલે જણાવ્યું કે, જે વાત સામે આવી રહી છે તેના પરથી ખબર પડે છે કે, પુલવામાની ઘટના સમયે દેવિન્દર સિંહ તે ક્ષેત્રના અધિકારી હતી એટલું જ નહીં પરંતુ અફઝલ ગુરૂને દિલ્હી મોકલનાર પણ તે વ્યક્તિ જ હતા.