રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા જિલ્લાના ગોરા ખાતે આવેલા શૂલપાણેશ્વર મંદિર ખાતે પૂજા કરી હતી. આ સમયે શિક્ષણમંત્રીએ રાજ્યમાં શાળાઓ શરૂ કરવાની ઉતાવળ નહીં કરવાની અને ફી લેવાની વાતો કરતી સ્કૂલો સામે પગલા લેવાની વાત કરી હતી.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે, હાલ કોરોનાની પરિસ્થિતિમાં રાજ્યમાં શાળાઓમાં ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વેબિનાર દ્વારા મે શિક્ષણવિદો અને ડોક્ટરો સાથે ચર્ચા કરી છે. જેમાં શાળા ખોલવાની ઉતાવળ ન કરવી તેવો સર્વેનો મત રહ્યો છે. આથી જનજીવન રાબેતા મુજબ શરૂ થાય ત્યારબાદ તેમજ આરોગ્ય વિભાગ અને નિષ્ણાંતોના અભિપ્રાય લઈને શાળા ખોલવા બાબતે નિર્ણય કરવામાં આવશે. જ્યારે અભ્યાસક્રમ બાબતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, અમે કમિટીની રચના કરી છે અને એમાં પણ 20 કે 30 ટકા અભ્યાસ ક્રમ રાખવા અંગેનો નિર્ણય કરીશું. તેમજ જે શાળાઓ હાલ ફી લેવાની વાતો કરી રહી છે તેની સામે અમે પગલા લઈશું.