ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારને 100 દિવસ પૂર્ણ થઈ ચુક્યા છે, ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ તેમજ ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવ્યું.
ભૂપેન્દ્ર સરકારની બીજી ઈનિંગને 100 દિવસ પૂર્ણ
ગુજરાતમાં અઢી દાયકાથી ભાજપનું શાસન
2022માં ભાજપે વિધાનસભાની 156 બેઠક પર મેળવી જીત
રાજકારણમાં સફળતા-નિષ્ફળતાનો ગ્રાફ એક ઘટનાળ જેવો છે જે ચાલ્યા કરે છે. ગુજરાતમાં તો અઢી દાયકા કરતા વધુ સમયથી ભાજપનું શાસન છે. એમા પણ છેલ્લે 2022માં 156 બેઠક પર જીતની જે સફળતા મળી તે ખુદ એક નવો કિર્તિમાન છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારને 100 દિવસ પૂર્ણ થઈ ચુક્યા છે અને સ્વભાવિકપણે કોઈપણ સરકાર હોય તેના કાર્યના લેખા-જોખા થવા અત્યંત જરૂરી છે. 100 દિવસના સમયગાળામાં નવી સરકારના નિર્ણય ધ્યાન ખેંચનારા પણ હોય શકે અને વિરોધ ઉભો થાય તેવા પણ હોય શકે. એવું કહેવાય છે કે ટોચ પર પહોંચ્યા પછી ટકી રહેવું ઘણું અઘરું છે કારણ કે ટોચ પછી ખીણ આવતી હોય છે. રાજ્ય સરકારની બેઠકોની જીતનો આંકડો તો ટોચે પહોંચાડનારો છે પણ હવે જરૂરી છે એ સફળતાને પચાવવી અને લોકોના વિશ્વાસમાં સતત ખરા ઉતરવું.
100 દિવસની ભૂપેન્દ્ર સરકાર
ભૂપેન્દ્ર સરકાર 100 દિવસમાં અનેક લોક હિતમાં કાર્યો કર્યો છે. ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ તેમજ ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવ્યું છે. ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું બજેટ રજૂ કરાયું છે. બજેટમાં શિક્ષણ ઉપર સૌથી વધુ ભાર મુકાયો છે. ભૂપેન્દ્ર સરકારે પેપરલીક વિરોધી કાયદો બનાવ્યો છે. આ વર્ષે 25 હજાર ભરતીનું વચન આપ્યું છે. 5 વર્ષમાં 1 લાખ ભરતીનું આયોજન કરાયું છે. G-20 બેઠકોનું રાજ્યમાં નેતૃત્વ કરાયું છે. રાજ્યની જેલમાં સરપ્રાઈઝ વિઝીટ, મોટી કાર્યવાહી પણ કરાઈ છે. ભૂપેન્દ્ર સરકારે ખેડૂકોના હિતમાં જમીનના રિસરવેનો નિર્ણય કર્યો તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે સ્પોર્ટ્સ સંકુલનો નિર્ણય કર્યો છે. વ્યાજખોરો સામે અભિયાન ચલાવ્યો અને વ્યાજખોરથી પીડિત લોકોને પોલીસ મારફતે લોન અપાવી છે.
સરકાર રચાતા જ એકશનમાં
12 ડિસેમ્બર 2022ના રોજ શપથ લીધા બાદ તરત જ સરકાર એકશનમાં આવી હતી. પહેલી જ બેઠકમાં 100 દિવસના નવતર લક્ષ્યાંકનો આદેશ કરી દેવાયો હતો. સરકારે તમામ મંત્રીઓને જવાબદારી સોંપી દીધી હતી. સરકારનો ઉદ્દેશ હતો કે મંત્રીઓ પોતે જ લક્ષ્યાંકમાં સ્પષ્ટ હોવા જોઈએ. પહેલા 100 દિવસમાં જ નવી યોજના અને અગાઉની બાકી યોજનાઓ પૂર્ણ કરવા આદેશ અપાયા છે. વિઝનરી પ્લાન સંદર્ભે પણ મંત્રીઓને વિભાગ સાથે પરામર્શ કરવા આદેશ આપ્યા હતાં. જૂના મંત્રીઓને નવોદિત મંત્રીઓને સહયોગ કરવા સૂચના અપાઈ છે.
સરકારની આ યોજના પણ મહત્વની
વિધાનસભાની યુટ્યુબ ચેનલનું લોકાર્પણ, ગૃહની કાર્યવાહી જોઈ શકાશે તેમજ સગર્ભા, પ્રસૂતા માટે `મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' અને વલસાડમાં લોકોની પાણીની સુવિધા માટે એસ્ટોલ પ્રોજેક્ટ શરૂ કરાયું છે. પોલીસ સ્ટેશનમાં E-FIRની સુવિધા તેમજ પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે પ્રોત્સાહક યોજના અને માલધારી-પશુપાલકો માટે ગૌમાતા પોષણ યોજના તેમજ રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓ આધુનિક બનાવવી જેવી વિવિધા યોજનાઓ અમલમાં મુકી છે. સરહદી સુરક્ષાઓ વધુ સઘન કરવી તેમજ રાજ્યની આંતરિક સુરક્ષા સુદ્રઢ કરવા ઉચ્ચ નિર્ણય કર્યો છે.
ગરીબો માટે ગરીમામય જીવન
રાજ્ય સરકારે શ્રમિકોના માસિક વેતનમાં 25 ટકા જેટલો વધારો કર્યો છે. કુશળ શ્રમિકને હવે મળશે માસિક વેતન રૂપિયા 12,324. તેમજ શ્રમયોગીઓના કલ્યાણ માટે શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરાઈ છે. 1 લાખથી વધુ શ્રમિકોને ઇ-શ્રમ હેઠળ રજિસ્ટર કરવામાં આવ્યા તેમજ રેશનની દુકાનમાંથી “ શ્રી અન્ન ” ને પ્રોત્સાહન આપવા બાજરી અને જુવારનું વિતરણ કરાયું છે. ફેરીયાઓ પગભર થઇ શકે તેવા આશયથી 30,000થી વધુ ફેરિયાઓને PM સ્વનિધિ હેઠળ લોન અપાઈ છે. 71 લાખ કુટુંબોને દર માસે પ્રતિ કુટુંબ 1 કિ.ગ્રા ચણાનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે. ઘઉં તથા ચોખાનું પણ વિનામૂલ્યે વિતરણ કરાયું છે. જરૂરિયાતમંદ લોકોને આવાસ પૂરા પાડવાના સંકલ્પ સાથે 32,000થી વધુ આવાસોનું નિર્માણ.
સુરક્ષિત મહિલા અને તંદુરસ્ત બાળ યોજના
મહિલા સશક્તિકરણ માટે સૌપ્રથમ વખત 200થી વધુ યોજનાઓની જાહેરાત કરાઈ છે. મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 31 લાખ કરોડને પાર કરાયું છે. દીકરી ભણે અને આગળ વધે તે માટે 1,285 જેટલી કન્યાઓને સહાય તેમજ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત MBBS અભ્યાસક્રમ માટે સહાય અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 737 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ સામગ્રી અપાઈ રહી છે. દર માસે 1 કિલોગ્રામ તુવેરદાળ, 2 કિલોગ્રામ ચણા, 1 લીટર સિંગતેલ અપાયું છે. 1 લાખ 91 હજાર 351 જેટલી સગર્ભા મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ આર્થિક સહાય તેમજ મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવી 121 મહિલા સુરક્ષા ટુકડી "SHE ટીમ" કાર્યરત છે. મહિલા સુરક્ષા માટે 72 પોલીસ સ્ટેશનોમાં વુમન હેલ્પ ડેસ્કની શરૂઆત કરાઈ છે.
કૃષિ યોજના અંતર્ગત ખેડૂતોને પ્રોત્સાહન!
સૂક્ષ્મ સિંચાઇ યોજનાને પ્રોત્સાહન આપવા તેના બજેટમાં ચાર ગણો વધારો કરાયો અને રાજ્યના ખેડૂતો વધુ પાક લઇ શકે તેથી 'ડ્રોપ મોર ક્રોપ' ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત સહાય આપવામાં આવી રહી છે. આ યોજના હેઠળ 1.68 લાખથી વધુ ખેડૂતોને આશરે 390 કરોડની સહાય આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા 13 જિલ્લામાં 32 પ્રાકૃતિક ખેતી મંડળની રચના તેમજ 10 માર્ચથી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે. ચાલુ વર્ષે તુવેરની પ્રતિ ક્વિંટલ રૂપિયા 6,600 અને ચણાની રૂપિયા 5,335માં ખરીદી કરાઈ તેમજ રાયડાની પ્રતિ ક્વિંટલ રૂપિયા 5,450ના ટેકાના ભાવે સરકારે ખરીદી કરી શરૂ કરાઈ છે. 5 હજારથી વધુ પશુપાલકોને પશુપાલન વ્યવસાય માટે કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ અને 28,000 થી વધુ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે 125 કરોડથી વધુની સહાય અપાઈ છે. પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના અંતર્ગત માછીમાર જૂથોને સહાય અને અકસ્માત વિમા યોજના અંતર્ગત રાજ્યના 10 હજાર જેટલા માછીમારોને આવરી લેવાયા છે. 5,754 સહકારી મંડળીઓના ડિજિટાઇઝેશન માટે 123.62 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ઔધોગિક ક્ષેત્રે અગ્રેસર ગુજરાત
રાજ્યમાં વિશ્વસ્તરીય 56 જેટલી વિવિધ ક્ષેત્રની મોટી કંપનીઓ સાથે MoU અને સરકાર દ્વારા 79 હજાર 375 કરોડના MoU કરવામાં આવ્યા છે. MoU મારફતે રાજ્યમાં 50 હજારથી વધુ રોજગારીનું સર્જન કરાયું છે. ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ સાક્ષરતા વધારવા સરકારે ગુગલ સાથે કરી પાર્ટનરશીપ તેમજ બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાઓની ક્ષમતા, નિર્માણ અને સ્કિલને વધુ વેગ મળે માટે સરકાર કાર્યરત કરાયું છે. દર વર્ષે અંદાજે 50 હજાર જેટલા લોકોને તાલીમ પૂરી પાડવા ગુગલ સાથે પાર્ટનરશીપ તેમજ ગુજરાતના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપતો PM મિત્ર ટાઇલ પાર્કને નવસારી ખાતે સ્થાપવાનો નિર્ણય કરાયો છે.