મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરતાં જ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ઇતિહાસમાં સતત બીજીવાર શપથ લેનારા પ્રથમ પાટીદાર CM બનશે
સતત બીજીવાર શપથ લેનારા પ્રથમ પાટીદાર CM ભૂપેન્દ્ર પટેલ
62 વર્ષના ઇતિહામાં પ્રથમવાર કોઈ પાટીદાર બીજીવાર વાર CM બનશે
અગાઉ કોઈપણ પાટીદાર મુખ્યમંત્રી 5 વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથગ્રહણ કરશે. જોકે અહી એક નોંધનીય વાત એ છે કે, આજે બપોરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરતાં જ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ઇતિહાસમાં સતત બીજીવાર શપથ લેનારા પ્રથમ પાટીદાર CM બનશે. મહત્વનું છે કે, ગુજરાતના 62 વર્ષના ઇતિહામાં ભૂપેન્દ્ર પટેલ પહેલા પાટીદાર મુખ્યમંત્રી હશે કે, જે ચૂંટણી જીતીને બીજીવાર મુખ્યમંત્રી બનશે.
ગુજરાતનો રાજકીય ઇતિહાસ
ગુજરાતમાં અત્યાર સુધી પાંચ પાટીદાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જોકે વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ સતત બીજીવાર પાટીદાર મુખ્યમંત્રી બન્યા હોય તેવું આજ સુધી બન્યું નથી. જોકે અહી નોંધનીય બાબત એ પણ છે કે, અગાઉ કોઈપણ પાટીદાર મુખ્યમંત્રી પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી.
ગુજરાતને કયા-કયા પાંચ પાટીદાર મુખ્યમંત્રી મળ્યા હતા ?
ચીમનભાઈ પટેલ
18 જુલાઇ 1973થી 9 ફેબ્રુઆરી 1974 એટલે કે 207 દિવસ સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યા. તેમના પછી બાબુભાઇ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, પરંતુ ચીમનભાઈની સરકાર ગઈ અને બાબુભાઇની સરકાર આવી તે દરમ્યાન રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું.
બાબુભાઈ જશભાઈ પટેલ
18 જૂન 1975થી 12 માર્ચ 1976 268 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમની સરકારનું પતન થતાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. જોકે ચૂંટણી બાદ માધવસિંહ સોલંકીની સરકાર બની 107 દિવસમાં તેમનું શાસન ગયું. બાબુભાઇ ફરી મુખ્યમંત્રી બન્યા. તે 11 એપ્રિલ 1977થી 6 જૂન 1980 સુધી મુખ્યમંતી રહ્યા.
ચીમનભાઈ પટેલ
4 માર્ચ 1990થી 17 ફેબ્રુઆરી 1994 સુધી જનતા મોરચાના મુખ્યમંત્રી રહ્યા હતા. જોકે ભાજપે ટેકો પાછો ખેંચતા કોંગ્રેસના સમર્થનથી 25 ઓકટોબર 1990માં ફરી મુખ્યમંત્રી બન્યા. તેઓ હ્રદયરોગના હુમલાને કારણે અવસાન પામ્યા અને બાકીની ટર્મ છબીલદાસ મહેતાએ પૂર્ણ કરી.
કેશુભાઈ પટેલ
14 માર્ચ 1995ના રોજ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પણ શકરસિંહ વાઘેલાએ બળવો કરતાં 221 દિવસમાં 21 ઓક્ટોબર 1995એ રાજીનામું આપ્યું. 1998માં ચૂંટણી બાદ તેઓ ફરી મુખ્યમંત્રી બનતા.જોકે ભૂકંપ પછી તેમણે રાજીનામુ આપવું પડ્યું.
આનંદીબેન પટેલ
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આનંદીબેન પટેલને 22 મે 2014ના રોજ મુખ્યમંત્રી બનાવ્યા. જોકે પાટીદાર આંદોલનને કારણે માત્ર બે વર્ષ અને 77 દિવસમાં જ તેમણે હટવું પડ્યું અને વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા.
ભૂપેન્દ્ર પટેલ
13 સપ્ટેમ્બર 2021ના રોજ રૂપાણી સરકારના તમામ મંત્રીઓ સહિત હટાવી દેવાયા. તે પછી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા. તેમના નેતૃત્વમાં જ આ ચૂંટણી લડાઈ અને ભાજપને મળેલી 156 બેઠકો સાથે તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા.