ભૂપેન્દ્ર પટેલનાં રૂપમાં ગુજરાતને નવા મુખ્યમંત્રી મળ્યા છે ત્યારે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો દબદબો વધ્યો છે.
ગુજરાતનાં નવા મુખ્યમંત્રી બનશે ભૂપેન્દ્ર પટેલ
ફરીવાર પાટીદાર જ પાણીદાર સાબિત થયું
આનંદીબેનનાં ખૂબ જ નજીકનાં હોવાથી તેમનો દબદબો વધશે
પીએમ મોદીએ ફરી આપી સરપ્રાઈઝ
ગુજરાત રાજ્યમાં ફરીથી પાટીદાર યુગની શરૂઆત થઈ રહી છે, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદારનાં હાથમાં ગુજરાતની કમાન સોંપીને ભારતીય જનતા પાર્ટીએ સત્તાના શાસન પર ભૂપેન્દ્ર પટેલને બેસાડ્યા છે. પીએમ મોદી અને અમિત શાહ સરપ્રાઈઝ આપવા માટે પ્રખ્યાત છે અને આજે પણ નવા મુખ્યમંત્રીની જાહેરાતમાં પણ આ એલિમેન્ટ જોવા મળી રહ્યો છે. ગઇકાલથી જ ગુજરાતમાં ઘણા બધા નામો આગળ ચાલી રહ્યા હતા ત્યારે અચાનક જ ભૂપેન્દ્ર પટેલનું નામ સામે આવ્યું જે જોઈને ગુજરાતનાં દરેક લોકો ચોંકી ગયા હતા.
આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ
નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલનાં ખૂબ જ નજીકનાં વ્યક્તિ ગણાય છે. ધોરણ 12 પાસ ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદારનો મોટો ચહેરો છે અને આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે.
આનંદીબેન ગયા ત્યારે ભૂપેન્દ્ર પટેલને જ મળી ઘાટલોડિયાની સીટ
નોંધનીય છે કે વર્ષ 2017માં ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાની સીટ મળી હતી. 2017 પહેલાં આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા-જતા તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ત્યાંથી જ સીટ અપાવી હતી. તેઓ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને પહેલી જ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.
આનંદીબેનનો ફરીથી દબદબો
નોંધનીય છે કે આનંદીબેન ગુજરાતનાં એક મોટા પાટીદાર નેતા છે અને મુખ્યમંત્રી પદ સુધી તેઓ પહોંચ્યા હતા. જોકે તેમના જ કાર્યકાળ દરમિયાન અમિત શાહ જૂથ સાથે તેમના વિવાદ હોવાનું પણ સામે આવી રહ્યું હતું. પાટીદાર આંદોલને આનંદીબેનની ખુરશી છીનવી અને તે બાદ રૂપાણીને રાજગાદી આપવામાં આવી હતી. આનંદીબેને રાજીનામું આપ્યું ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે નીતિન પટેલને જ સીએમ બનાવવામાં આવશે જોકે તે સમયે આનંદીબેનને કોરાણે મૂકીને હાઇકમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે ભૂપેન્દ્ર પટેલની ગુજરાતનાં રાજસિંહાસન પર વરણી થયા બાદ ફરીથી આનંદીબેનનો ગુજરાતમાં દબદબો વધતો દેખાઈ રહ્યો છે.
ભુપેન્દ્ર પટેલનું રાજકિય બેકગ્રાઉન્ડ
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાવ્યા છે.અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભુપેન્દ્ર પટેલ. આનંદીબહેન પટેલના નજદીકી સાથીદાર અને ઔડાના પૂર્વ ચેરમેન ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે..અમદાવાદમાં 2017ની વિધાનસભા ચૂંટણી માં આનંદી બહેનના પ્રસતાવ પર જ ભુપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટીકીટ મળી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલને ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈને 1,17,750 મતની સરસાઈ સાથે કુલ 1,75,652 મત મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને 57,902 મત જ મળ્યાં હતા.
કોણ છે ભુપેન્દ્ર પટેલ
અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ
હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગરના ટ્રસ્ટી
સ્કુલ બોર્ડ અમદાવાદના ૨૦૦૮-૧૦ સુધી ચેરમેન રહ્યા હતા
૧૯૯૫-૯૬ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ૨૦૧૦-૧૫ સુધી ચેરમેન રહી ચૂક્યા છે