દિવાળી પહેલા સહાયની રકમ મળી જાય તેવી વિચારણા મુખ્યમંત્રીની છે તેવો ખુલાસો ખુદ કૃષિમંત્રી રાઘવજી પટેલે વીટીવી સમક્ષ કર્યો છે.
ખેડૂતો માટે સારા સમાચાર
નુકશાનને લઈ રાહત પેકેજ મળી શકે છે
સરકાર તરફથી પ્રથમ રાહત પેકેજ
અતિવૃષ્ટીમાં થયેલા નુકશાનને લઈ ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. બુધવાર 20 ઓક્ટોબરે મળનારી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં રાહત પેકેજ અંગે નિર્ણય લેવાઈ શકે તેવા પૂરેપૂરા સંકેત છે.સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિવૃષ્ટીથી વ્યાપક નુકશાન થાય બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે સહાય ચૂકવણા માટે તાબડતોબ સર્વે કરાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જે બાદ સર્વેનું કામ પૂર્ણ થતાં આગામી બુધવારે સરકાર તરફથી ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ શકે છે.
કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલે શું કહ્યું?
CM ભૂપેન્દ્ર પટેલ સરકારનું ખેડૂતલક્ષી પ્રથમ રાહત પેકેજ જાહેર થવા જઇ રહ્યું છે ત્યારે કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલે વીટીવી ગુજરાતી સાથે કરેલી એક્સકલુઝિવ વાતમાં કહ્યું હતું કે મુખ્યમંત્રીની વિચારણા હેઠળનો રાહત પેકેજનો પ્રશ્ન પ્રથમ હરોળમાં છે. દિવાળી પહેલા રકમ મળી જાય તેવી મુખ્યમંત્રીની વિચારણા છે.
ક્યાં થયો સહાયનો સર્વે?
ગુજરાતમાં આવેલા અતિક્રમી એવા તૌક્તે વાવાઝોડા અને ત્યારબાદ, અતિવૃષ્ટિ જેવા વરસાદે સૌરાષ્ટ્ર ,ગુજરાતના કેટલાય ખેડૂતોના ઉભા પાકને ધોઈ નાખ્યો પરિણામે ખેડૂત સરકાર સામે કોઈ મોટી રાહત/સહાય જાહેર થાય તે આશાએ બેઠો છે.આ વચ્ચે રાજ્ય સરકારે જામનગર તાલુકાના કાલાવાડ, ધ્રોલ, જોડિયા, લાલપુર, જામજોધપુર,ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, કોટડા સાંગાણી જેવા વિસ્તારોનો ખેતી સર્વે પૂર્ણ કરી દીધો છે. વધુમાં કુતિયાણા, પોરબંદર તાલુકો, રાણાવાવ,કેશોદ, વિસાવદર, વંથલી, માણાવદર, માંગરોળમાં પણ સર્વે પૂર્ણ કરાયો છે. તો અન્ય 7 જિલ્લામાં સેમ્પલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર પણ ખેડૂતોની હામી હોય તેમ આ માટે મોટો નિર્ણય કરી શકે છે.ખેડૂતોને રાહત સહાયમાં મોટો વધારો વીઘાદીઠ આપી સરકાર ખેડૂતોના ચહેરા પર હાસ્ય જોવા ઉત્સુક છે.પણ,વિધાદીઠ કેટલી સહાય આપવી તેનો નિર્ણય મુખ્યમંત્રી જ કરશે.
કેટલી સહાય સરકાર આપી શકે છે?
રાજ્ય સરકાર અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જેવા વરસાદથી ભારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી ચુકી છે.ત્યારે, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર,ઉપરાંત છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે.પ્રથમ તબક્કે 4 જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાન સર્વે કરાયો હતો.હવે અન્ય જિલ્લાઓમાં કામગરી ચાલુ કરવામાં આવી છે. જે તે વિસ્તારના ધારાસભ્ય અને સાંસદની માગણી આધારે અન્ય જિલ્લાઓમાં સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.ખેડૂતોને SDRFના ધારા ધોરણમાં વધારો કરી ખેડૂતને સહાય ચૂકવવા વિચારણા પણ કરવામાં આવી છે.SDRF ધારા ધોરણ પ્રમાણે વિઘા દીઠ 6800 સહાય આપવાની જોગવાઈ પણ વિચારાધીન છે. રાજ્ય સરકાર વિઘા દીઠ 20 હજાર ચુકવવાની વિચારણા કરી રહી છે.સરકાર એક વિચારણા એ પણ કરી રહી છે કે, ખેડૂતોને ખાતા દીઠ સહાય આપે. જો ખાતાદીઠ સહાય આપવામાં આવે તો ખેડૂત ખાતાદીઠ 30 થી 35 હજાર સહાય મળી શકે તેવો એક અંદાજ છે.
મલકી ઉઠશે ખેડૂતોના ચહેરા
સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં તૌક્તે અને ત્યાર બાદ પાછોતરા વરસાદે ભારે તબાહી મચાવી છે.ખાસ કરીને, જામનગર, જૂનાગઢ,ગીર-સોમનાથ અને રાજકોટ જીલ્લાઓ,ઉપરાંત તૌક્તે એ ગીર-સોમનાથ,અમરેલી જીલ્લાની ખેતીને લગભગ બરબાદ કરી નાખી હતી. તત્કાલીન રૂપાણી સરકારે કેટલીક સહાય અને સર્વે કરાવ્યા હતા.બાદમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વેળા જ ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું.અને રાજ્યના નવા સુકાની ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા પહેલા જ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરવો પડ્યો હતો..હવે જ્યારે સહાય પેકેજ વધારવા માટે ખેડૂતોની માંગ ઉઠી છે ત્યારે, સરકાર, ખેડૂતો માટે બુધવારે હિતકારી નિર્ણય કરી શકે છે.