વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે નવનિર્મિત નરેન્દ્ર મોદી વન માં રેકોર્ડ બ્રેક 71 હજાર વૃક્ષારોપણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વૃક્ષથી જ આબાદી,વૃક્ષ વિના બર્બાદી
વડાપ્રધાનના જન્મદિવસે 71 હજાર વૃક્ષારોપણ
પર્યાવરણ અને પ્રકૃતિનો સુભગ સમન્વય
પ્રકૃતિ અને પર્યાવરણનો સુભગ સમન્વય સધાય અને લોક જાગૃતિ કેળવાય તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે રાજ્યના મુખ્ય્મંત્રીએ 71 હજાર વૃક્ષ રોપીને એક અલાયદો સંદેશ ગુજરાતની જનતાને આપ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વન માં રેકોર્ડ બ્રેક71 હજાર વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રેમ સાથે પ્રકૃતિના જતનનો સંદેશો આપ્યો હતો.
ગ્રીન કવર વિસ્તારની નેમ
રોપાયેલા 71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે તેવું જણાવી મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં પણ વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની જાળવણી થાય અને નાગરિકોને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ, વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, નરેન્દ્ર નોખી માટીના નોખા માનવી છે. તેઓએ ગરીબોના બેલી છે એટલે જ રાજ્ય સરકાર દ્વારા આજે તેમના 71માં જન્મદિવસના ઉપલક્ષ્યમાં રાજ્યભરમાં 375 થી વધુ ગરીબ હિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કેવી રીતે ફળ્યું વૃક્ષારોપણ
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી તે જ દિવસે તેમણે સવારે અમદાવાદમાં વુક્ષારોપણ કર્યું હતું..અમદાવાદમાં બોપલમાં BRTS રૂટ પર તેમણે લીમડો રોપીને વૃક્ષારોપણ કર્યું હતું..આમ,સવારે વૃક્ષારોપણ અને બપોર સુધીમાં તો તેમને રાજ્યના મુખ્યમંત્રી તરીકેનું ફળ મળી ગયું.
પર્યાવરણ- એક પડકાર
વડાપ્રધાન મોદીના જન્મદિવસે તેમના મુખ્યમંત્રી પદના તેઓના કાર્યકાળના પર્યાવરણલક્ષી કાર્યોને યાદ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પર્યાવરણ ક્ષેત્રે ઉભા થનારા પડકારોને ધ્યાનમાં રાખી નરેન્દ્રભાઇની દૂરંદેશીતાના પરિણામે ગુજરાત રાજ્યમાં 2009 માં અલાયદુ કલાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યું હતું.
તેઓએ એમ પણ કહ્યું કે, અગાઉ ફક્ત ગાંધીનગરમાં ઉજવાતા વન મહોત્સવનું 2009 થી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉજવણીની શરૂઆત પણ નરેન્દ્ર મોદીએ કરી હતી. આ વનમહોત્સવની જિલ્લા સ્તરે શરૂઆત કરીને તેમણે જન-જનને વનથી જોડ્યા છે.
વૃક્ષ -જીવનાધાર
જિલ્લા સ્તરે સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વના આધારે આજે વનમહોત્સવની આ ઉજવણી રાજ્ય સ્તરે પ્રચલિત બની છે જેના થકી જનમાનસ પર પ્રકૃતિપ્રેમની નવઉર્જાનો સંચાર પણ થયો છે. આજે રાજ્યભરમાં વર્ષ 2004 થી 2021 સુધીમાં કુલ 21 સાંસ્કૃતિક વનોની સ્થાપના થઇ છે.
કોરોનાકાળમાં આપણે સૌ પ્રાણવાયુ સમા ઓક્સિજનનું મહત્વ સમજ્યા છીએ માટે ઓક્સિજન સિલિન્ડરથી ઓક્સિજન-પ્રાણવાયુ મેળવવાની જગ્યાએ રાજ્યમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરીને કુદરતી પ્રાણવાયુ મેળવવા વૃક્ષારોપણ અભિયાનને જન અભિયાન બનાવવા મુખ્યમંત્રીએ આહવાન કર્યુ હતુ.
તેમણે શહેરોમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વચ્ચે લીલીછમ ઘરતી બનાવવા રાજ્યભરમાં ગ્રીન કવર વધારવા મિયાવાકી પધ્ધતિનો પણ ઉપયોગ કરી ઓછી જમીનમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરી અર્બન ફોરેસ્ટ વિકસાવવા કહ્યું હતુ.
Mission Million Trees
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "mission million trees" અભિયાનને વેગવંતુ બનાવવા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
71 હજાર વૃક્ષારોપણના કાર્યક્રમમાં વિવિધ ધર્મસમુદાયના આગેવાનો દ્વારા શાંતિ, સલામતી અને સૌહાર્દનું પ્રતિકરૂપ મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતુ.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદના સાંસદ હસમુખ પટેલ, કિરીટ સોલંકી, ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા, વલ્લભ કાકડીયા, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, કોર્પોરેટર , પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, પક્ષના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.