ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજના વિવાદનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તણૂંક મુદ્દે પ્રિન્સીપાલ અને હોસ્ટેલ સુપરવાઈઝર સહિત કુલ 4 સામે ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ પ્રિન્સીપાલ સહિત અન્ય ચાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ બીજી તરફ વિદ્યાર્થિનીઓએ ફરિયાદ પાછી ખેંચી લેવા પોલીસ મથકે ઉહાપોહ મચાવ્યો હતો. જોકે પોલીસે કડક કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.
કચ્છ-ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજ વિવાદ મામલો
પ્રિન્સિપાલ, હોસ્ટેલ સુપરવાઈઝર સહિત 4 સામે ફરિયાદ
પશ્ચિમ કચ્છ પોલીસ વડાની કડક કાર્યવાહી
ભુજના મિરઝાપર રોડ પર સ્વામિનારાયણ મંદીર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં અંદાજે 60 છાત્રાઓના માસિકધર્મની કોલેજના પ્રશાસન દ્વારા વસ્ત્રો ઉતારી તપાસ કરાઈ હતી. આ ઘટના શરમજનક બનવા સાથે સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. રાજ્યના મહિલા આયોગે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે ભુજ એ-ડિવિઝન પોલીસે સવારે નિવેદન નોંધ્યા બાદ સાંજે 4 સામે ફરિયાદ નોંધી છે છાત્રાઓએ ફરિયાદ લખાવી છે.
સુપરવાઈઝર રમીલાબેન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એ ડિવિઝન પોલીસે કલમ 384, 355, 506, 509, 114ની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. અત્રે નોંધનીય છે કે, ગઈકાલે છાત્રાઓ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે આજે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ વિદ્યાર્થિનીઓએ ફરિયાદ પાછી ખેંચી લેવા પોલીસ મથકે ઉહાપોહ મચાવ્યો હતો. જો કે, પોલીસે સમગ્ર મુદ્દે તપાસ કર્યા બાદ તટસ્થ કાર્યવાહીની વાત દોહરાવી છે.
પ્રિન્સીપાલે ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું
ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિવાદ સામે આવતા હવે ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. બેઠક બાદ સંસ્થામાં આ પ્રકારનું નિંદનીય કૃત્ય થયુ હોવાનું સ્વીકારવામાં આવ્યુ. આ બેઠક બાદ ટ્રસ્ટી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, પ્રિન્સીપાસે ભૂલ સ્વીકારી છે અને આ મામલે તેમણે માફી પણ માગી હતી. આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. ટ્રસ્ટીઓએ જવાબદારો સામે પગલા લેવાની ખાતરી આપી હતી. વિદ્યાર્થિનીઓ અને વાલીઓને સાથે રાખીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
શું બની હતી ઘટના?
કચ્છના ભુજમાં શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો છે. ભુજના સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી છે. વિદ્યાર્થિનીઓની આવી રીતે તપાસ કરાતા તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે સંચાલકોએ વિદ્યાર્થિનીઓ પર દબાણ લાવીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓએ સંચાલકોએ હોસ્ટેલમાંથી કાઢી મુકાવની પણ ધમકી આપી હોવાની ચર્ચા છે. સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓની માગણી છે કે, ગેરવર્તણૂંક કરનારા સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.