નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાના યુનિવર્સિટીના નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થીઓ ધરણા પર ઉતરી આવ્યાં છે અને તેનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે.
બીએચયુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોઈ અમીર ઘરાનાની મહિલાને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાથી સમાજમાં ખોટો સંદેશ જશે તેનાથી સમાજમાં ખોટો દાખલો બેસશે. આપણા દેશમાં ઘણી એવી મહિલાઓ છે જે જાતમહેનતથી આગળ વધી છે કોઈ ઉદ્યોગપતિની પત્ની હોવા માત્રથી મહિલા સશક્ત નથી બની જતી.
આ મામલો વેગ પકડતા હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેનો ખુલાસો કરવો પડ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ આવી તમામ ખબરોને ખોટી ગણાવી છે. તેમના દ્વારા જારી થયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે રિલાયન્સ ઈન્ડ.ના અધ્યક્ષ નીતા અંબાણીને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર બનાવવા માટેનું કોઈ આમંત્રણ તેમની પાસે આવ્યું નથી. મીડિયામાં ચાલી રહેલી તમામ ખબરો ખોટી છે.
ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના સોશિયલ સાયન્સ ફેકલ્ટીએ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ અદાણી તથા લક્ષ્મી મિત્તલની પત્ની ઉષા મિત્તલને યુનિવર્સિટીના વિઝિટિગ પ્રોફેસર થવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
સોશિયલ સાયન્સ ફેકલ્ટીના ડીન કૌશલ કિશોર મિશ્રાએ જણાવ્યું કે દાનવીર ઉદ્યોગપતિઓે આમંત્રિત કરવાની બીએચયુની પરંપરા રહી છે. અમે રિલાયન્સ ફાઉન્ડેશનને પત્ર મોકલીને વિઝિટિંગ પ્રોફેસર તરીકે વુમન સ્ટડી સેન્ટરમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું જેથી કરીને અમે તેમના બહોળા અનુભવનો લાભ લઈ શકીએ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું હોવાથી અમે નીતા અંબાણીને આમંત્રણ પાઠવ્યું હતું.