7 માર્ચ 2017ના દિવસે એમપીના શાજાપુરમાં બની હતી ઘટના
એનઆઈએ કોર્ટે આતંકીઓને એક તગડો ફટકો આપતાં તેમને મોતની સજાની જાહેરાત કરી છે. 2017 ભોપાલ-ઉજ્જેન ટ્રેન બ્લાસ્ટ કેસના આઠ આરોપીઓમાંથી 7ને એનઆઈએ કોર્ટે ફાંસીની સજા તો 1ને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આતંકીઓ પર સજા નક્કી કરવા માટે તેમને મંગળવારે એનઆઈએની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જો કે આતંકીઓએ સોમવારે સજા સંભળાવવાની હતી, પરંતુ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સજાના તમામ મુદ્દાઓ પર દલીલ કર્યા બાદ કોર્ટે આ કેસમાં સજાની તારીખ મંગળવારે નક્કી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને મંગળવારે વિશેષ NIA કોર્ટે તમામને ફાંસી, આજીવન કેદ અને દંડની સજા સંભળાવી હતી.
ISISના આતંકીઓએ કર્યો હતો ટ્રેનમાં બ્લાસ્ટ
શુક્રવારે કોર્ટે તમામ આતંકીઓને દોષી ઠેરવ્યા હતા. 7 માર્ચ, 2017ની સવારે મધ્યપ્રદેશના શાજાપુરમાં થયેલા આ બ્લાસ્ટમાં ISISના ખોરાસન મોડ્યુલના આતંકીઓની ભૂમિકા સામે આવી હતી. 8 માર્ચ, 2017ના રોજ લખનઉના કાકોરી વિસ્તારમાં એટીએસ દ્વારા એન્કાઉન્ટરમાં ખોરાસણ મોડ્યુલ સાથે સંકળાયેલા કાનપુરના આતંકવાદી સૈફુલ્લાને ઠાર મારવામાં આવ્યો હતો, જ્યારે મોહમ્મદ ફૈઝલ, ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ અઝહર, આતિફ મુઝફ્ફર, મોહમ્મદ દાનિશ, સૈયદ મીર હુસૈન, આસિફ ઇકબાલ ઉર્ફે રોકી અને મોહમ્મદ આતિફ ઉર્ફે આતિફ ઇરાનીની ધરપકડ કરવામાં આવી હતી.
આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો
ઝડપાયેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. રોપીઓ સામે દેશ સામે યુદ્ધ છેડવા, ટેરર ફંડિંગ, વિસ્ફોટકો અને હથિયારો એકત્રિત કરવાના આરોપસર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આઇએસઆઇએસે યુવકનું બ્રેનવોશ કરીને આતંકી સંગઠનમાં સામેલ થઇ ગયું હતું. ISIS આ યુવકોનો ઉપયોગ દેશ વિરુદ્ધની ગતિવિધિઓમાં કરી રહ્યું હતું. ઝાકિર નાઇકના વીડિયો બતાવીને યુવાનોને જેહાદ માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.
શું બની હતી ઘટના
7 માર્ચ 2017ના દિવસે મધ્યપ્રદેશના શાજાપુર પાસે જબડી રેલવે સ્ટેશન પર ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં થયેલા બ્લાસ્ટમાં 9 લોકો ઘાયલ થયા હતા. સવારે 9.38 વાગ્યે જબડી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘણા મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ કેસની તપાસ કેન્દ્ર સરકાર દ્વારા એનઆઈએને સોંપવામાં આવી હતી.