કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશનાં ભોપાલની મુલાકાતે છે. ત્યારે ભોપાલમાં રાહુલ ગાંધીનાં સ્વાગત માટે ઠેર-ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. પણ પોસ્ટર જોઈને એવું લાગે છે કે આ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું હોય. કારણ કે પોસ્ટરમાં જોઈ શકાય છે તેમ રાહુલ ગાંધીને ભગવાન રામ સાથે સરખાવવામાં આવ્યાં છે તો પીએમ મોદીને રાવણ સાથે સરખાવવામાં આવ્યાં છે.
એટલું જ નહીં પોસ્ટરમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી જ રામ મંદિર નિર્માણ કરાવશે. એટલું જ નહીં આ વિવાદિત પોસ્ટરમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 'ચોરો તુમ્હારી ખૈર નહીં...હમ રામ ભક્ત હૈ....ચોરો કે અલાવા કીસી સે બૈર નહીં.'
આ પોસ્ટરમાં રાફેલ મુદ્દાને પણ ઉઠાવવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે ચોકીદાર જ ચોર છે. તો રાહુલ ગાંધી સાથે મુખ્યમંત્રી કમલનાથની પણ તસ્વીર લગાવવામાં આવી છે અને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સર્વસંમતિથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું.
આવામાં રામ ભક્ત રાહુલ ગાંધીનું તળાવની નગરી ભોપાલમાં સ્વાગત છે. ત્યારે આ પોસ્ટર કોંગ્રેસ પાર્ટીએ નહીં પણ કેટલાંક ઉત્સાહિત કાર્યકર્તાઓએ લગાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આજે બે લાખ ખેડૂતોને સંબોધન કરશે.
આ પહેલા અહીંનાં માર્ગો પર કોંગ્રેસ તરફથી લગાવવામાં આવેલ બેનરોમાં રાહુલ ગાંધીને 'રામભક્ત' દર્શાવવામાં આવ્યાં હતાં. આ સાતે જ મધ્યપ્રદેશનાં સીએમ કમલનાથને 'હનુમાન અને ગૌ ભક્ત' કહેવામાં આવ્યાં છે. ભોપાલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ તરફથી લગાવવામાં આવેલ બેનરમાં એમ પણ કહ્યું કે સર્વસંમત્તિમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવશે એવાં છે રામ ભક્ત રાહુલ ગાંધી.