કોરોના મહામારી વચ્ચે છેલ્લા ઘણા સમયથી નવરાત્રિ યોજાવી જોઇએ કે નહીં તેની ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે કેટલાક લોકોનું માનવું છે કે નવરાત્રિ ન થવી જોઇએ તો કેટલાક લોકો કહી રહ્યાં છે કે નવરાત્રિ માતાજીની ભક્તિનો પર્વ છે માટે યોજાવી જોઇએ. આ ચર્ચા મુદ્દે ગુજરાતી સિંગર ભૂમિ પંચાલના એકાઉન્ટથી થયેલી કોમેન્ટના સ્ક્રીન શોટ્સ વાયરલ થયા હતા. જેને લઇને વિવાદ સર્જાયો હતો.ત્યારે હવે આ ઘટનાને ભૂમિ પંચાલે વખોડી છે.
સિંગર ભૂમિ પંચાલે અશાબ્દિક કોમેન્ટને વખોડી
ભૂમિ પંચાલના એકાઉન્ટથી થઇ હતી કોમેન્ટ
ભૂમિ પંચાલે ખુલાસો કરતા કહ્યું કે, મારા એકાઉન્ટમાંથી કોઇએ કરી છે કોમેન્ટ
નવરાત્રિ મુદ્દે વાયરલ થયેલા આક્ષેપ ભૂમિ પંચાલે વખોડયા છે. ભૂમિ પંચાલે સાથે બનેલી ઘટના અંગે તેમનું કહેવું છે કે કોમેન્ટ મારા પેજ પરથી થઇ છે પરંતુ મેં નથી કરી. હું આ અંગે તપાસ કરાવીશ. ભૂમિ પંચાલે સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદની વાત કરી છે. અશાબ્દિક શબ્દોનો પ્રયોગ થયો તે નિંદનીય છે. ભૂમિ પંચાલનું કહેવું છે કે તેમના એકાઉન્ટ પરથી બીજા કોઇએ આવી કોમેન્ટ કરી છે.
સિંગર ભૂમિ પંચાલે આપત્તિજનક કોમેન્ટ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, મારા ફેસબુકમાં કોઇએ ગાળાગાળી કરી હતી. પરંતુ મને નથી ખબર કે કોણે આવું કર્યું. મારા મમ્મી-પપ્પા હોસ્પિટલમાં દાખલ છે તો હું તેમાં વ્યસ્ત છું. હું ખોટી રીતે આનો ભોગ બની છું. પરંતુ મારો આવો સ્વભાવ નથી, કે હું કોઇને આવા શબ્દો કહું. આ ખોટું છે અને ખોટી રીતે વાયરલ થયું છે.
અમે સરકારને અપીલ કરી રહ્યા હતા કે ગરબા ચાલુ કરો. છેલ્લા કેટલાક મહિનાથી ઘરે બેઠા છે. નવરાત્રી પર અમારુ ઘર ચાલતું હોય છે. ત્યારે કોઇએ મારા ફેસબુક પેજમાં જઇને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી હતી. આવું ન થવું જોઇએ.
જે પણ લોકોએ લખ્યું છે તેના પર કાર્યવાહી કરીશ. બીજી વાર મારુ એકાઉન્ટ કોઇને આપતા અટકીશ. એકાઉન્ટમાંથી રિપ્લાય ક્યાંથી આપવામાં આવ્યો અને કોણે લખ્યું તેની તપાસ કરાવીશ.
શું છે ઘટના
નવરાત્રિના આયોજનને લઇને સોશ્યલ મિડીયા પર ચર્ચા ચાલી રહી હતી. જેમાં ભૂમિ પંચાલ કે જે ગુજરાતની જાણીતી ગાયિકા છે તેના પેજ પર કેટલાક યુઝર્સે લખ્યુ કે નવરાત્રિ ન યોજાવી જોઇએ. આ ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા ભૂમિ પંચાલના પેજ પરથી આપત્તિજનક શબ્દોવાળી કોમેન્ટ કરવામાં આવી હતી. જોકે ભૂમિ પંચાલે પોતે આ કોમેન્ટ ન કરી હોવાનું જણાવ્યું છે.
યુઝર્સે શું કરી ટિપ્પણી
કોરોના મહામારીથી બચવા માટે નવરાત્રિ ન યોજાવી જોઇએ, આ પ્રકારની ટિપ્પણી કરતા ભૂમિના એકાઉન્ટ પરથી કોમેન્ટ કરવામાં આવી હતી કે અમારુ ઘર ચલાવવા તું આવીશ, તારી શું ઓકાત છે. આ પ્રકારની ટિપ્પણીઓ સિવાય અન્ય પણ આપત્તિજનક શબ્દોનો પ્રયોગ પણ આ એકાઉન્ટ પરથી કરવામાં આવ્યો હતો. જેના સ્ક્રિનશૉટ વાયરલ થયા હતા.
હટાવી અભદ્ર કમેન્ટ
આ અંગે ભૂમિ પંચાલનું કહેવું છે કે, મને આ કોમેન્ટ વાળી ઘટનાની જાણ થતા મેં સોશ્યલ મિડીયા પરથી કોમેન્ટ હટાવી લીધી હતી.