વરઘોડા કાઢવા મામલે હાલ રાજ્યમાં અનેક જગ્યાએ દલિતો પર અત્યાચાર થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પહેલા કડીના લ્હોર અને ત્યાર બાદ અરવલ્લીના જિલ્લાના ખંભીસરમાં વરઘોડો કાઢવા મામલે મામલો બિચક્યો હતો. ત્યારે આ મામલે ભીમ સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં ભીમ સેના દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં ચક્કાજામ કરવામાં આવ્યો અને દલિતો પર ઉત્યાચાર બંધ કરવાની માગ સાત્રે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું.
મોડાસાના ખંભીસર ગામે ભેદભાવ
રાજ્યમાં અનુસૂચિત જાતિનાં લગ્નનાં વરઘોડામાં ભેદભાવની કિસ્સાઓમાં જાણે વધારો થતો હોય તેવા બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ધમાલ મચી હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. અરવલ્લી સહિત અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તંગદીલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
કડીના લ્હોર ગામે ભેદભાવ
મહેસાણાના કડી તાલુકામાં આવેલ લ્હોર ગામમાં સામાજિક રીતે પછાત સમાજ સાથે ઓરમાયું વર્તન કરાયું હતું. ગામના રહેતા એક યુવાન અને તેના પરિવારે હોંશે હોંશે લગ્નમાં વરઘોડો કાઢતા ગામે સમગ્ર દલિત સમાજનો બહિષ્કાર કર્યો હતો અને ગામમાં વસતા દલિત સમાજના લોકોને જીવન જરૂરી વસ્તુ મળવાની બંધ થઈ હોવાનો આક્ષેપ હતો. જો કોઈ વ્યક્તિ પછાત સમાજના લોકોને દૂધ, કરિયાણું કે કોઈ વસ્તુ આપે તો તેને 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું ફરમાન જાહેર કરી દેવાયું હતું.
વર્તમાન આધુનિક યુગમાં સમાનતાની વાતો કરવામાં આવે છે, પરંતુ હજુ પણ દેશમાં એવા ગામડાઓ છે જ્યા સામાજિક રીતે પછાત સમાજ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે.