6 ફેબ્રુઆરીએ ભિલોડાના મલેકપુર ગામમાં જૂથ અથડામણ થઇ હતી. આ દરમિયાન હુમલામાં BSFના જવાન રવિન્દ્ર પ્રફુલભાઇ ગામેતી નામના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ જવાન કાશ્મીરના શ્રીનગરની BSF ટુકડીમાં ફરજ બજાવતો હતો.
રજા ગાળવા આવેલ BSF જવાન પર હુમલો, સારવાર દરમિયાન મોત
મલેકપુર ગામમાં ભારેલા અગ્નિ સમાન સ્થિતિ
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
BSF જવાન અને તેના બે મિત્રો પર સામાજિક અદાવતમાં ગામના જ 9 જેટલા શખ્સો દ્વારા કુહાડી, લોખંડની પાઇ અને લાકડીઓ વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં BSF જવાનના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું 4 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું.
BSF જવાનના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે. જેને ધ્યાનમાં રાખતા કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતક BSF જવાનનો મૃતદેહ વતન પહોંચ્યા બાદ સ્થિતિ બેકાબૂ બને તેવી શક્યતાઓ જણાઇ રહી છે.
શું હતો સમગ્ર મામલો?
ભિલોડાના મલેકપુર ગામના અને BSFમાં ફરજ બજાવતો જવાન રવિન્દ્ર ગામેતી રજા ગાળવા માટે પોતાના વતન આવ્યો હતો. તે તેના મિત્રો રોશન ખરાડી અને રણજિત નિનામા સાથે ભિલોડા પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સામાજિક અદાવતમાં મલેકપુર બસસ્ટેશન નજીક 9 જેટલા લોકો દ્વારા રસ્તા પર આંતરીને હુમલો કર્યો હતો. જેમાં BSF જવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્યને શરીરે ઇજાઓ પહોંચી હતી. આ દરમિયાન લોકો દોડી આવતા હુમલાખોરો નાસી ગયા હતા. આ હુમલાને લઇને મલેકપુર ગામમાં ભારે તંગદિલી સર્જાઇ હતી. ત્યારે સારવાર દરમિયાન BSF જવાનનું મોત થતા સ્થિતિ ભારેલા અગ્નિ સમાન છે. જ્યારે પોલીસ દ્વારા આ 9 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતું 4 દિવસ બાદ પણ આ હુમલાખોરો ઝડપાયા નથી. જેને લઇને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.