ભાવનગર: રાજ્યમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવ તેના મધ્યાને પહોચ્યો છે. ત્યારે કેટલાક સ્થળે ગણેશ વિસર્જનની કામગીરી શરુ થવા લાગી છે. વિસર્જન ને લઇને મહાનગરો માં કૃત્રિમ તળાવો બનાવી પ્રદુષિત પાણી ન થાય તે માટે સરકારે સૂચનાઓ આપી છે પરંતુ ભાવનગરમાં જાણે કે તંત્ર આ સુચાનાઓને ઘોળી ને પી ગયું હોય તેમ ક્યાય પણ તળાવો બનાવ્યા નથી. જેથી લોકો ને ભાવનગર થી ૩૦ કિલોમીટર દુર કોળીયાક ના દરિયામાં ગણપતિ વિસર્જન માટે જવું પડે છે
શહેરમાં બોર તળાવ અને ગંગા જાળીયા એમ બે તળાવો આવેલ છે. પરંતુ આ તળાવોમાં મૂર્તિઓ વિસર્જન કરવાનો પ્રતિબંધ ફરમાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે મોટાભાગે મહાનગરોમાં પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ વેચાતી હોય છે. આ મૂર્તિઓ નદી તળાવો કે દરિયામાં વિસર્જન કરવામાં આવે તો તેનાથી પાણી પ્રદુષિત થતું હોય છે. જેને લઈને સરકારે કૃત્રિમ તળાવો બનાવી તેમાં ગણેશ વિસર્જન થાય તે માટે આદેશો કર્યા હતા. પરંતુ ભાવનગર માં આજ દિન સુધી કોઈ તળાવો પણ બન્યા નથી એટલે લોકો ને ત્રીસ કિલોમીટર દુર જી મૂર્તિઓ પધરાવવી પડે છે
ગણેશ મહોત્સવનાં પાંચમાં દિવસે કોળીયાકના દરિયા કિનારે મોટા પ્રમાણમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ ઓટ ના સમયે આ મૂર્તિઓ કિનારે ખંડિત થયેલ હાલત માં જોવા મળી હતી. બીજી બાજુ ભાવનગર મહાનગરપાલિકા નાં કમિશનરનું કહેવું છે કે શહેર ના સ્થાનિક તળાવો માં મૂર્તિઓ પધરાવવાની મનાઈ છે પરંતુ ઘર માં રાખેલ નાની મૂર્તિઓ હશે તો તેમનો સ્ટાફ ત્યાં હાજર રહી આ મૂર્તિઓનું વિસર્જન કરાવી શકશે.