તાજેતરમાં આપના એક નેતાએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલને એક પોસ્ટમાં ટેગ કરતા યુવરાજે સોશ્યલ મીડિયામાં તેનો જોરદાર જવાબ આપ્યો હતો.
ભાવેણાના યુવરાજની સોશ્યલ મીડિયામાં સ્પષ્ટતા
AAPના એક નેતાએ કરેલી પોસ્ટમાં કર્યો ખુલાસો
હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી: જયવીરરાજસિંહ ગોહીલ
આપ નેતા રાઘવ ચઢ્ઢા સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે તેઓની ભાવનગરની મુલાકાતને લઇને AAPના એક નેતાએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલને ટ્વિટર પર ટેગ કર્યા હતા. જેથી ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે તેમના ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે, 'મહેરબાની કરીને મને આવી પોસ્ટમાં ટેગ કરશો નહીં. હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નથી.'
Ok Sir I will take care next time માનનીય યુવરાજ સાહેબ
— @YUSUFKHAN_PATHAN #Mission_2022 (@aap_yusufkhan) October 11, 2022
જોકે બાદમાં આ આપના નેતાએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલને તેમના ટ્વિટનો વળતો જવાબ આપતા કહ્યું કે, 'ઓકે સર હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ માનનીય યુવરાજ સાહેબ.'
AAPના એક નેતાએ શેર કરેલી પોસ્ટમાં ભાવનગરના યુવરાજને ટેગ કર્યા હતા
નોંધનીય છે કે, હાલમાં આપ નેતા રાઘવ ચઢ્ઢા સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેઓ રાજકોટ, ભાવનગર અને અમરેલી સહિતના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ ભાવનગર અને અમરેલીની મુલાકાતે છે. આથી આપના એક નેતાએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલને આપ નેતા રાઘવ ચઢ્ઢાનું ભાવનગરમાં સ્વાગત છે તેવી પોસ્ટમાં ટેગ કરવામાં આવ્યા હતા. આથી જયવીરરાજસિંહ ગોહીલે હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નથી એમ સ્પષ્ટ જણાવી દીધું હતું.
તાજેતરમાં જ ભાવનગરના યુવરાજ રસ્તાની વાસ્તવિકતાને લઇ પોસ્ટ કરતા ભારે ચર્ચામાં આવ્યા હતા
તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુને તેમના ટ્વિટનો જવાબ આપી મંત્રીને રસ્તાની વાસ્તવિકતા જણાવતા તેઓ ચર્ચામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારે ચર્ચામાં થોડાક દિવસ અગાઉ ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ કિરણ રિજિજુએ અમદાવાદ-ભાવનગર હાઈવેના વખાણ કર્યા હતા. ત્યારે હવે આ રસ્તા મામલે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને મંત્રીને રસ્તાની વાસ્તવિકતા જણાવી હતી. જ્યાર બાદ તેઓ ફરી હાઇલાઇટ થયા હતા.
National highways are improving no doubt at all, however many roads within the city are an absolute disaster and mostly get repaired only when BJP ministers come. We hope to have you all visit us often so the roads keep improving 😏
— YUVRAJ BHAVNAGAR JAIVEERRAJ SINH GOHIL (@YSJRSG) October 7, 2022
બે દિવસ અગાઉ ભાવનગર કોર્ટના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત દેશના કાયદા મંત્રી (Cabinet Minister of Law and Justice) કિરણ રિજિજુએ કર્યું હતું. તેઓ અમદાવાદથી ભાવનગર બાયરોડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક ટ્વિટ કરીને ગુજરાતના રસ્તાના વખાણ કર્યા હતા. આ સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો. તેમના ટ્વિટ પર ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી હતી.
મંત્રીઓ આવે ત્યારે થાય છે રસ્તાનું સમારકામઃ જયવીરરાજસિંહ ગોહીલ
તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યાં છે તેમાં કોઈ શંકા નથી. જો કે, શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખખડધજ હાલતમાં છે અને મોટાભાગે ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે, ત્યારે જ તેનું સમારકામ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા અવારનવાર અમારી મુલાકાત લેશો જેથી રસ્તાઓ સુધરતા રહે. ભાવનગર યુવરાજના ટ્વિટને લઈને રાજકીય ગરમાવો આવ્યો હતો.