ઉનાળાના આગમન સાથે જ જળસંકટના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. સરકાર દ્વારા એક તરફ શેત્રુંજય જળાશયમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે તો લોકો દ્વારા પણ સ્વયંભૂ રીતે લોકફાળાથી ભૂગર્ભ રીચાર્જ કરાવવાનું અભિયાન હાથ ધરાયું છે જોઈએ આ અહેવાલ.
ભાવનગર શહેરને દરરોજ 135 એમ એલ ડી પાણીની રહે છે જરૂરિયાત
ઉનાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યમાં દર વર્ષની જેમ જળસંકટના ભણકારા વાગી રહ્યા છે. રાજ્યના મોટાભાગના જળાશયો ઝડપથી ખાલી થઈ રહ્યા છે તો કેટલાકમાં નવા નીર ઠાલવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાવનગર શહેર માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત શેત્રુંજી ડેમ છે અને આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ બોર, તળાવ તેમજ વધારામાં મહીં નદીનું પાણી ભાવનગર મહાનગર પાલિકા મેળવે છે અને નગરજનોને પીવાનું પાણી પૂરું પાડે છે.
સરકાર દ્વારા આમ તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઊંડા ઉતારવા અને ચેકડેમની મરામત સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ભાવનગર શહેરમાં વસ્તી મુજબ દરરોજ 135 એમ એલ ડી પાણીની જરૂરિયાત રહે છે. તેમાં સૌથી વધુ એટલે કે 60 એમ એલ ડી પાણી શેત્રુંજય ડેમ માંથી મળે છે અને બાકીનું 40 એમ એલ ડી મહી નદીમાંથી મેળવવામાં આવે છે.
ભાવનગરમાં હવે પાણીની મુશ્કેલી નિવારવા માટે મનપાએ સ્થાનિક કક્ષાએ લોકભાગીદારીથી ચેકડેમો બનવવા અને 20 સ્થળો એ અંડર ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ માટેનું કામ હાથ ધાર્યું છે. ભવનગર શહેરમાં ભૂતકાળમાં રોટરી ક્લબ દ્વારા જળ સંચય માટે જ્યાં વરસાદી પાણીનો ભરાવો હતો ત્યાં કૂવા બનાવીને વરસાદી પાણીને રોકવાના કામ કરેલા હતા. તેમાં સફળતા મળતાં હવે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા પણ આ રીતે જળસંચય કરવાનું અભિયાન હાથ ધરાયું છે. આ માટે મનપા પણ રોટરી ક્લબનો સહયોગ લઈને 20 સ્થળોએ જળસંચય માટે કામ કરશે. જેમાં તળાવો ઊંડા ઉતારવા તેમજ 2 સ્થળોએ ચેકડેમ બનાવવા માટે નું કામ હાથ ધરવામાં આવ્યું છે.
આ પ્રયાસના કારણે હવે શહેરમાં અન્ય વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે અને પાણીની સમસ્યા ભૂતકાળ બનશે તેમ અધિકારીઓનું માનવું છે. ભાવનગર મનપા દ્વારા લોકભાગીદારીથી હાથ ધરનારા આ પ્રોજેક્ટના કારણે ભાવનગરના કેટલાક વિસ્તારોમાં જ્યાં ઓછા પ્રેશરથી પાણી મળવાની સમસ્યા છે ત્યાં કાયમી ઉકેલ આવશે તે નક્કી છે.