આજકાલ શૈક્ષણિક જગતની એક પછી એક ભૂલો અને ગફલતો સામે આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના એક યુવાન સામે યુનિવર્સિટી અંગે વીડિયો બનાવાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવાને વીડિયોમાં કંઈ જ આપત્તિજનક નથી કહ્યુ તેમ છતાં ભાવનગર યુનિ.નો વીડિયો વાઈરલ કરવાનુ મોંઘુ પડ્યુ છે. તેને પરીક્ષામાં ન બેસવા દેવામાં આવ્યો. બિનસચિવાલયનો મુદ્દો હજુ સળગતો છે ત્યારે આ રીતે શિક્ષણ સામે સવાલ ઉઠાવનારને દંડ આપવા બદલ યુનિ. માથે માછલા ધોવાઈ રહ્યા છે.
વીડિયો વાયરલ કરવું ભારે પડ્યું
યુવક સામે કેમ કાર્યવાહી કરાઈ?
યુનિવર્સિટી સામે પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે
ભાવનગરમાં વિદ્યાર્થીએ ભાવનગર યુનિવર્સિટીની મનઘડત કાર્યશૈલીનો વીડિયો બનાવ્યો હતો. જેને પરિણામે તે યુવકને પરીક્ષા ન બેસવા દેવામાં આવ્યો.
કઈ કોલેજનો છે યુવાન
યુવકને મહુવાની જે.પી.પારેખ કોલેજમાં પરીક્ષામાં ન બેસવા દેવાયો એટલુ જ નહીં પરંતુ છેક શિક્ષણ મંત્રી સુધી આ અંગે રજૂઆત કરાઈ હતી.
કોણ છે યુવાન
સૂરજ મનુભાઈ નામના યુવકે આ વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં વિદ્યાર્થીએ યુનિવર્સીટી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા જેને પરિણામે યુવકને પરીક્ષા આપવાથી વંચીત રખાયો હોવાની ચર્ચા છે. આ યુવાન ભાવનગર યુનિવર્સિટીની તાનાશાહીનો ભોગ બન્યો છે. તેણે યુનિ.ની મનઘડત કાર્યશૈલીનો વીડિયો વાઈરલ કર્યો હતો
શું કહ્યુ હતુ યુવાને વીડિયોમાં
આ યુવાને વીડિયોમાં પરીક્ષાના ટાઈમટેબલ અંગે અને યુનિ. ના અધિકારીઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને સેમેસ્ટર છમાં પણ યુનિ. આવી જ ગફલતો કરશે તો વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનની ચીમકી આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થયો હતો જેને પરિણામે યુનિ. યુવાન સામે પગલાના ભાગ રૂપે તેને પરીક્ષાથી વંચિત રાખ્યો છે.
યુનિવર્સિટી સામે પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે
સ્થાનિકો અને ભાવનગરના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે કે, યુનિવર્સિટીની દાદાગીરી ક્યાં સુધી ચાલશે? યુનિવર્સિટીની ધાંધિયાગીરીની સામે બોલી ન શકાય? કોઈ સામે બોલશે તો તેનો અવાજ દબાવશો? વિદ્યાર્થીએ સાહસ કર્યુ તો કેમ કાર્યવાહી? અધિકારીઓ સામે કેમ કાર્યવાહી કરાતી નથી? અધિકારીઓ પોતાની મનમાની કરી શકે છે? મનઘડત કાર્યશૈલી ક્યાં સુધી ચાલશે? વીડિયો બનાવનાર વિદ્યાર્થીનો શું વાંક હતો?