રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતા.
ભાવનગરમાં વરસાદ વરસ્યો હતો સાથે વલ્લભીપુર અને ઉમરાળા પંથકમાં ભારે વરસાદ પડ્યો. વલ્લભીપુર અને ઉમરાળા પંથકમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ પડતા ઘેલો નદીઓમાં નવા નીરની આવક થઇ છે. તો ભારે વરસાદના કારણે વલ્લભીપુર શહેરમાં અનેક વિસ્તારોમાં મકાનની દીવાલો પણ ધરાશાયી થઇ ગઇ છે.
ભાવનગરના ઉમરાળા ગામમાં 6 ઇંચ વરસાદ નોંધાયો
ભાવનગરના ઉમરાળા અને વલ્લભીપુરમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ઉમરાળાની આસપાસના વિસ્તારોમાં નદી-નાળા છલકાઇ ગયા છે. તો ચેકડેમોમાં પણ પાણી ભરાયા છે. વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભાવનગર શહેરમાં વરદસાદી માહોલ સર્જાયો છે. વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના કુંભારવાડા, ચાવડીગેટ, કાળિયાબીડ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ શહેરના કાળાનાળા વિસ્તારમાં એક વૃક્ષ ધરાશયી થયું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનીનો બન્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની આસપાસ લો પ્રેશર બનતા સપ્તાહ સુધી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા મોરબી અને જામનગર જિલ્લામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 ઓગસ્ટના બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાશે. જેનો ગુજરાતને ફાયદો થશે. તેવુ હવામાન વિભાગનું કહેવું છે.