ભાવનગર ન્યૂ પોર્ટ અનેક અગવડો બાદ ફરી વાર ધમધમતું થયું છે. જો કે ડ્રેશજગની સમસ્યા યથાવત હોવા છતાં ભાવનગરના નવા બંદરે અત્યાર સુધીના ઇતિહાસમાં આ વર્ષે કાર્ગોની આવકમાં ઇતિહાસ સર્જ્યો છે. ભાવનગર ન્યુ પોર્ટ જે અગાઉ બારમાસી બંદર તરીકે ઓળખાતું હતું હતું તે હવે ફરીવાર ધમધમતું થયું છે અને અનેક ને રોજગારી પણ મળી રહી છે. જોઈએ આ અહેવાલ.
ભાવનગર જિલ્લાને મળેલા 125 કિલોમીટર લાંબા દરિયા કિનારાનો ઉપયોગ હવે સડક માર્ગ કરતા વધુ વિસ્તર્યો છે અને તેમાંય ભાવનગરના નવા બંદરે ડ્રેશજગની સમસ્યા હોવા છતાં આ વર્ષે આ બંદરે 55 થી વધુ જહાજો મારફતે 27. 26 લાખ મેટ્રિક ટન માલ આવી ચુક્યો છે અને તેમાં કોલસો અને પથ્થરનો સમાવેશ થાય છે. ભાવનગર બંદર પર આવેલો લોકગેટ સમગ્ર વિશ્વમાં ફક્ત 2 જગ્યાએ આવેલા છે અને લોકગેટની રચનાને કારણે ઓટના સમયમાં પણ જેટી પર કાર્ગો હેન્ડલિંગનું કામ સરળતાથી થઇ શકે છે.
લોકગેટથી ભાવનગર એન્કરેજ સુધીની ચેનલનુ કેપિટલ ડ્રેશજગ જીએમબી દ્વારા કરાવવામાં આવ્યુ છે,પરંતુ લોકગેટની અંદર આવેલી બેસિનમાં કાંપના થર જામી ગયા છે અને જીએમબી તેના પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યું હતું, પરંતુ કાર્ગોની સતત વધી રહેલી આવકને ધ્યાનમાં રાખી જીએમબી દ્વારા ચાલુ વર્ષે નવા 7 RCC. પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. જો કે, ભાવનગરનું આ ન્યુ પોર્ટ અગાઉ રાજાશાહી સમયમાં ધમધમતું હતું અને વચ્ચેના સમયગાળામાં તે પડી ભાંગ્યું હતું, પરંતુ અત્યારે ફરી એક વખત સુવિધાઓ વધવાથી અહીં કાગો નું વહન થઇ રહ્યું છે. અહીં વિદેશથી કોલસા નું આયાત થાય છે અને જે અહીંની સ્થાનિક કંપનીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
ભાવનગર બંદરે મુખ્યત્વે લાઇમ સ્ટોન, કોલસો અને પેટકોકની આયાત થાય છે તથા પથ્થર અને મીઠાની નિકાસ થાય છે. વર્ષ 2015-16 દરમિયાન ભાવનગર બંદરે 24.25 લાખ મેટ્રિક ટન કાર્ગો ઉતર્યો હતો અને તે સૌથી વધુ આંક હતો, પરંતુ ઓણ સાલ તે રેકોર્ડ પણ ધ્વસ્ત થયો છે અને ફેબ્રુઆરી 2019 સુધીમાં 27.26 લાખ મેટ્રિક ટન કાર્ગો આવી ચૂક્યો છે અને માર્ચ મહિનામાં 2.50 લાખ ટન કાર્ગો આવી રહ્યો છે. ભાવનગર બંદરનો એરિયા 2.10 લાખ ચોરસ મિટર છે. અહીં વર્ષ 2018 અને 2019 દરમયાન 56 શિપ આવી છે. કાર્ગોના વહન માટે 7 RCCના પ્લેટ ફોર્મ બનાવવામાં આવ્યા છે. જેના કારણએ નવાબંદર પર 2500થી વધુને રોજગારી મળી રહી છે. ભાવનગર બંદર પર કાર્ગો લાવી રહેલા વ્યવસાયકારો દ્વારા જીએમબી ગાંધીનગરને બેસિનની અંદર ડ્રેશજગ કરાવવા બાબતે તાજેતરમાં ટકોર કરવામાં આવી છે. હાલ ઓટના સમયે નાનુ બાર્જ પણ અગાઉની સરખામણીએ કામ કરી શકતુ નથી છતાં વ્યવસાયકારો પોતાની સગવડ સામેલ કરી સહકાર પણ આપી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં આમતો અનેક બંદરો આવેલા છે પરંતુ તેમના મોટાભાગના જર્જરિત છે અને તેના કારણે અહીં કોઈ કામગીરી થતી નથી. એક તરફ સરકાર દરિયાઈ માર્ગનો ઉપયોગ વધુમાં વધુ થાય તે દિશામાં આગળ વધી રહી છે ત્યારે જિલ્લાના બંધ પડેલા અન્ય બંદરોને જીવિત કરાય તે જરૂરી છે.