આગામી 4 જુલાઈના રોજ ભાવનગરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવનગર પોલીસ (Bhavanagar Police) સતર્ક બની છે. ગુજરાતમાં બીજા નમ્બરની ગણાતી આ રથયાત્રા માટે આયોજકો દ્વારા તો તૈયારીઓ કરવામાં આવે છે પણ સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે.
ભાવનગરમાં 1986થી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રા ભવનગરના 17 કિલોમીટરના વિસ્તારમાં ફરે છે. સવારે ભગવનેશ્વર મહાદેવના મંદિરેથી નીકળતી આ યાત્રા રાત્રીના 10 વાગે પૂર્ણ થાય છે અને બાદમાં ધર્મ સભાનું આયોજન પણ કરવામાં આવે છે. આ રથયાત્રામાં સ્થાનિક પોલીસ ઉપરાંત એસ.આરપી, સી.આર.પી, BSFના જવાનો તેમજ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ વગેરે પણ જોડાય છે.
ભાવનગર પોલીસે અત્યારથી જ વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી છે. ભાવનગરના પ્રવેશદ્વાર ગણાતા વિસ્તારોમાં પોલીસે ચેકીંગ સઘન બનાવ્યું છે. આ ઉપરાંત ભવનગર પોલીસે જે સંવેદનશીલ વિસ્તારો ગણાય છે ત્યાં ગત રાત્રીના પગપાળા ચાલીને પણ નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક પોલીસના ચેકીંગમાં જિલ્લા પોલીસવડા જયપાલ સિંઘ રાઠોર પણ જોડાયા હતા.
ભાવનગરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને કહી શકાય કે, તંત્ર કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી એટલા માટે જ અત્યારથી જ બંદોબસ્ત કરી લાગ્યું છે. આ રથયાત્રા દરમયાન ભાવનગર શહેરમાં લગાવાયેલા 400 જેટલા CCTV કેમેરા પણ લોકોની હિલચાલ ઉપર નજર રાખશે.