વરસાદની અનિયમિતતા અને ઘટી રહેલા વરસાદનાં પ્રમાણે ખેડૂતો અને આમ નાગરિકોને નવેસરથી વિચારવા મજબૂર કર્યા છે. ચોમાસું વીત્યાનાં થોડાં મહિના બાદ નદી, અને ચેકડેમ કોરાઘાકોર થઈ જાય છે. પછી શિયાળામાં અકાળે પિયતનો અંત આવી જાય છે. આ મુશ્કેલીનાં નિવારણ માટે ભાવનગર જિલ્લાનાં રાજપરા ગામના નાગરિકોએ જે જહેમત આદરી છે તે અભિનંદનીય તો છે જ સાથે અનુકરણીય પણ છે.
વરસાદની અનિયમિતતા અને ઘટી રહેલા વરસાદનાં પ્રમાણે ખેડૂતો અને આમ નાગરિકોને નવેસરથી વિચારવા મજબૂર કર્યા છે. ચોમાસું વીત્યાનાં થોડાં મહિના બાદ નદી, અને ચેકડેમ કોરાઘાકોર થઈ જાય છે. પછી શિયાળામાં અકાળે પિયતનો અંત આવી જાય છે. આ મુશ્કેલીનાં નિવારણ માટે ભાવનગર જિલ્લાનાં રાજપરા ગામના નાગરિકોએ જે જહેમત આદરી છે તે અભિનંદનીય તો છે જ સાથે અનુકરણીય પણ છે. ત્યારે તળાવને ઊંડા ઊતારીને જળસ્તર ઊંચા લાવવાનાં આ ભગીરથ પ્રયાસનો જોઇએ સમગ્ર અહેવાલ.
વરસાદની અનિયમિતતા અને ગત વર્ષે પડેલા અપૂરતા વરસાદને કારણે પીવાના પાણીની અને કૃષિમાં પિયતની તંગી સર્જાઈ છે. હવે ઉનાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે ખેડૂતોમાં નવી સિઝનની ખેતી માટે પાણીની વ્યવસ્થાની ચિંતાએ અત્યારથી સ્થાન જમાવી લીધું છે અને એ ચિંતાની અભિવ્યક્તિ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે.
આખો દિવસ રાત કામે વળગેલા સંખ્યાબંધ ટ્રેક્ટર્સ, આ બુલડોઝર અને આ હિટાચી મશીનનાં દ્રશ્યો માત્ર ખેડૂતોની ચિંતાભરી જહેમતને જ નથી વ્યક્ત કરી રહ્યાં. જગતનાં તાતની ખુમારી અને કુદરત સામે પણ બાથ ભીડવાની તાકાત તે દર્શાવી રહ્યાં છે. ભાવનગર જિલ્લાનાં નાનકડા ગામ રાજપરાનાં નાગરિકોએ ઉઠાવેલી મોટી જહેમતની અહીં વાત છે. અહીં ગામનાં નાગિરકોનાં સહિયારા પ્રયાસોથી ગામનું તળાવ ઊંડુ કરવાનું કામ ચાલી રહ્યું છે.
ભાવનગરનાં રાજપરા ગામનાં મૂળજીભાઈ ધામેલીયા આમ તો છેલ્લાં 50 વર્ષથી સુરતમાં હીરાનાં વ્યવસાય સાથે જોડાયેલાં છે. રાજપરા સહિતનાં આસપાસનાં ગામોનાં 400 યુવકોનું એક ગ્રુપ તેમણે સુરતમાં બનાવ્યું છે અને તેઓ સમાજ સેવામાં પણ આગવી શૈલીથી કામ કરી રહ્યાં છે. રાજપરા યુવક મંડળે મૂળજીભાઈને 30 લાખ જેવો ફાળો કરી આપીને પોતાનાં વતનમાં પાણીની સમસ્યા દૂર કરવા કંઈક આયોજન હાથ ધરવા માર્ગદર્શન માગ્યું હતું.
પાણીની સમસ્યા નિવારવા માટે સ્થાનિક લોકોએ સરકારની રાહ જોયાં વગર તળાવો ઊંડા ઉતારવાનું તેમજ ચેકડેમની ઊંચાઈ વધારવાનું કામ શરૂ કરી દીધું છે. હાલમાં અહીં 2 હિટાચી મશીન, 12 ટેકટરો અને 4 ડોઝર મશીનથી આ કામ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 300 ટેકટર માટી કાઢવામાં આવી છે.
રાજપરા ગામે ચાલતા તળાવ ઊંડા કરવાના આ કામમાં આસપાસનાં ગામ લોકો પણ સહકાર આપી રહ્યાં છે. બાજુમાં આવેલા તણસા ગામનાં કેટલાંક ખેડૂતોએ તળાવ બનાવવા માટે પોતાની મહામૂલી જમીન પણ આપી છે. હાલમાં કુલ 4 વીઘા જમીનમાં આ તળાવ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ખોદકામ દરમિયાન નીકળતી માટી આસપાસનાં ખેડૂતોને ખેતરમાં લઇ જવા માટે વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો તળાવ ઊંડું ઊતરશે તો તળાવની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. પરિણામે જળસ્તર ઊંચા આવતાં સિંચાઈની સમસ્યા હલ થશે.
સરકાર આમ તો સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો બનાવવાનું કામ કરે છે પરંતુ કંઈક ને કંઈક અડચણનાં કારણે આ ગામમાં તળાવનું કામ શરૂ થયું ન હતું. ત્યારે રાજપરાનાં હીરા ઉદ્યોગકારોએ સરકાર સામે મદદનો હાથ ફેલાવવાનાં બદલે સમાજ પાસે હાથ લાંબો કરીને પોતાની ખુદ્દારીનાં દર્શન કરાવ્યાં છે. જે અભિનંદનીય અને અનુકરણીય છે.