ભાવનગરઃ મહુવામાં માઈનિંગનો વિવાદ ફરી સપાટીએ આવ્યો છે. મહુવા તાલુકાનાં 10 ગામનાં ખેડૂતોએ અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે પોલીસે વચ્ચે દરમ્યાનગીરી કરતાં ખેડૂતો અને પ્રદર્શનકારીઓએ પોલીસ કાફલા પર પણ પથ્થરમારો કર્યો હતો. જેથી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉગ્ર થતાં પોલીસે ટીયર ગેસનાં સેલ છોડીને કેટલાંક ખેડૂતોની અટકાયત કરી લીધી છે.
ત્યારે પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હોવાનાં પણ આક્ષેપ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે મહુવામાં માઈનિંગનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં 13 ગામની જમીન પંચાયતને પૂછ્યાં વિના જ લીઝ પર આપી દેવામાં આવી છે.
સરકાર દ્વારા અલ્ટ્રાટેક કંપનીને નીચા કોટડામાં માઈનિંગની મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી ખેડૂતો અને ખેતમજૂરો પોતાની ફળદ્રુપ જમીન બચાવવા માટે વિરોધ કરી રહ્યાં છે. માઈનિંગનાં કારણે આસપાસનાં ખેતરોમાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે.
જે મામલે ખેડૂતો દ્વારા અનેક રજૂઆત છતાં કોઈ પ્રકારનો નિર્ણય ન લેવામાં આવતાં ખેડૂતો ઉશ્કેરાયાં છે અને આજે આ મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે આ વિરોધમાં પૂર્વ ધારાસભ્ય કનુ કલ્સરિયા પણ જોડાયાં હતાં.
મહુવામાં 10 ખેડુતોનાં વિરોધ મામલે ધારાસભ્ય કથગરાએ પણ નિવેદન આપતાં જણાવ્યું કે ભાજપની સરકાર સંવેદહીન સરકાર છે. કથગરા હક માટે લડતા લોકો પર સરકાર અત્યાચાર કરે છે. ખેડૂતો પર ભૂતકાળમાં પણ લાઠીચાર્જ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે ત્યારે મહુવામાં ખેડૂતો પર લાઠીચાર્જ કરાતા તેનાં ચારે બાજુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. મહત્વનું છે કે CM રૂપાણીએ આ ઘટનાને લઇને વિશેષ પ્રાથમિક વિગતો પણ મેળવી છે અને સાથે-સાથે સ્થાનિક તંત્રને તપાસનાં આદેશ પણ આપ્યાં છે.