ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે 2017ના વર્ષમાં 1 કોથળાએ રૂપિયા 50ની સબસિડી આપવાની વાત કરી હતી. પરંતુ આજે 2 વર્ષ થવા છતાં 50 ટકા ખેડૂતોને આજ સુધી સબસિડીની રકમ મળી નથી. તે રકમ અંદાજે 12 કરોડ જેવી થવા જાય છે ત્યારે ખેડૂતોમાં રોષ જાગ્યો છે.
ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. 2017ના વર્ષમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોએ સબસિડીની માંગણી કરી હતી. તે સમયે સરકારે 1 થેલાએ 50 રૂપિયાની સબસીડી આપવાની જાહેરાત કરી હતી. 2017ના વર્ષમાં યાર્ડના સત્તાધીશોએ 11864 અરજીઓ મોકલી હતી તેમાંથી આજ સુધીમાં માત્ર 6000 લોકોને સબસીડી મળી છે અને જે બાકી છે તેની અંદાજિત રકમ 10 કરોડ થવા જાય છે.
હજુ જૂની સબસીડી મળી નથી ત્યાં આ વર્ષે નવી 2200 જેટલી અરજી આવી છે અને તેની રકમ 2 કરોડ જેવી થવા જાય છે. ખેડૂતોની માંગ છે કે સરકારે જાહેર કરેલી સબસીડીની રકમ તાકીદે ચૂકવી આપવી જોઈએ.
ખેડૂતની એ પણ માંગ છે કે આ વર્ષે સતત વરસી રહેલા વરસાદના કારણે ડુંગળીનો પાક પીળો પડી જવાની સંભાવના છે. તેવા સમયે જો સરકાર જૂની સબસીડીની રકમ આપે તો ખેડૂત બેઠો થઈ શકે તેમ છે. જો કે સત્તાવાળાનું કહેવું છે કે આ મામલે સરકારને વારંવાર રજુઆત કરવામાં આવી છે પણ હજુ સુધી રકમ આવી નથી તે વાત સાચી છે.