ભાવનગરમાં રખડતાં ઢોરનો ત્રાસ આસમાને છે. જેને અટકાવવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ભાવનગર શહેરમાં રખડતા 500 ઢોરને અમદાવાદની વિરાટ ગૌશાળામાં મોકલવા નિર્ણય કરવામાં આવ્યો છે. એક પશુ દીઠ અમદાવાદની ગૌશાળાને રૂપિયા 6100 ચૂકવવા અંગેના નિર્ણય પર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મજૂરીની મહોર લગાવવામાં આવી છે.
ભાવનગર મનપા દર મહિને 20 થી 21 લાખ રૂપિયા ચૂકવી રહી છે
ભાવનગરમાં રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા શહેરમાં 2 ઢોર ડબ્બાની વ્યવસ્થા કરવામાં આવી છે. અખિલેશ સર્કલ અને રિંગ રોડ ઉપર આવેલ આ ઢોર ડબ્બામાં 1200 થી વધુ રખડતા ઢોરને પકડીને પુરવામાં આવ્યા છે. જે પશુઓના નિભાવ ખર્ચ પેટે ભાવનગર મનપા દર મહિને 20 થી 21 લાખ ચૂકવી રહી છે. હવે જ્યારે આગામી દિવસોમાં ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે રસ્તાઓ ઉપર રખડતા ઢોરનો ત્રાસ વધે નહી તે માટે ભાવનગર મનપાના શાસકોએ આશરે 500 જેટલા રખડતા ઢોરને અમદાવાદની વિરાટ ગૌશાળામાં મોકલવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ તંત્ર દ્વારા ગણ્યા ગાંઠ્યા ઢોરને પકડીને કામગીરી બંધ કરાઇ હતી: વિપક્ષ
વધુમાં ભાવનગર શહેરના નારી રોડ ઉપર ઢોરનો ડબ્બો બનાવવા 5 એકરની જગ્યા કલેકટર પાસે માંગવામાં આવી છે. તેમજ સીદસરથી હિલપાર્ક ઉપર પણ એક ઢોરનો ડબ્બો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે વિપક્ષના આગેવાનોએ શાસક પક્ષ ઉપર આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે, ભાવનગર મનપાના શાસકોએ અગાઉ પણ રખડતા ઢોરને પકડીને મોકલવામાં માટે 4 થી 5 જગ્યાએ વાત અને જાહેરાત કરી હતી. જે-તે સમયે માત્ર ગણ્યા ગાંઠ્યા ઢોર પકડીને કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. ખરેખર જો ભાવનગર શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવો જ હોય તો ભાવનગર શહેરમાં ટી.પી.સ્કીમ ઘણી પડી છે ત્યાં રખડતા ઢોરને પકડીને રાખવામાં આવે તેવો વિપક્ષમાંથી સૂર ઉઠ્યો છે.
AMC ની હેલ્થ કમિટીની બેઠકમાં રખડતાં ઢોરનો મુદ્દો ગાજ્યો
રખડતાં ઢોરની સમસ્યામાંથી અમદાવાદ શહેર પણ બાકાત નથી. અમદાવાદમાં પણ રખડતાં ઢોરની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. ત્યારે આજે મળેલી AMC ની હેલ્થ કમિટીની બેઠકમાં રખડતાં ઢોરનો મુદ્દો ગાજ્યો હતો.આ મામલે હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેને સબંધિત વિભાગના અધિકારીઓને બરાબરના ખખડાવ્યા હતા અને આગળ ત્યજી ઢોર પકડવાની કામગીરીમાં ઝડપથી લાગી જવા સૂચના આપવમાં આવી હતી.