ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ વનરક્ષક પેપરમાં ગેરરીતિ, નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી અને બક્ષીપંચની સહાય મુદ્દે નિવેદન આપ્યું હતું
જીતુ વાઘાણીનું નિવેદન
ગેરરીતિ થવી અને પેપરલીક થવું અલગ - અલગ
પરીક્ષાર્થીને અન્યાય નહીં થાય
વનરક્ષક પેપરમાં ગેરરીતિને અંગે જીતુ વાઘાણીએ ફરી નિવેદન આપતા કહ્યું કે ગેરરીતિ થવી અને પેપરલીક થવું અલગ - અલગ બાબત છે. કોઈપણ પરીક્ષાર્થીને સરકાર અન્યાય નહીં થવા દે, પેપર શરૂ થાય એ પહેલા ફરવા લાગે એને લીક થયું કહેવાય. સંસ્થામાં પેપર પહોંચ્યા બાદ પેપર આવે તો એ ગેરરીતિ છે. કોઈ પાસે પેપર લીકના પુરાવાઓ આવે તો મોકલવા..
'પાલીતાણામાં પેપર સોલ્વ કરવા મોકલવામાં આવ્યું હતું'
વધુમાં ભાવનગરમાં થયેલી ગેરરીતિ મામલે નિવેદન આપતા કહ્યું હતું કે હરદેવ પરમાર નામના ઉમેદવારે તેમના મિત્રને પેપર મોકલાવ્યું જે 01:04 મિનિટ પેપર ગૃપમાં ફરતું થયું હતું. પાલીતાણામાં પેપર સોલ્વ કરવા મોકલવામાં આવ્યું હતું .સેન્ટર બહાર અને અંદર પેપર શરૂ થયા બાદ કોઇ જઇ શકતું નથી. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી છે. બંને લોકોની ધરપકડ કરી લીધી છે. વહીવટી તંત્ર ગેરરીતિ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધવશે.
નરેશ પટેલના પ્રશ્ન પર જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર માર્યા ચાબખા
નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે કોઈ પાર્ટીએ કોઈને હાયર કરવા પડતાં હોય એનો સીધો મતલબ એ છે તે સક્ષમ નથી. કોઈને લાવે શું કરે તે તેમનો વિષય છે. અત્યારથી કોંગ્રેસે મેદાન છોડી દીધું છે. જેમાં માટે એજન્સીઓ હાયર કરવાનું ચાલુ કર્યું છે પણ ખેર કોંગ્રેસ કોને લાવે છે એ એમનો નિર્ણય છે. પણ અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસ સફળ થઇ નથી. કોંગ્રેસના નેતાઓ ભાજપના લોકો વિશે ખોટી વાતો ફેલાવે છે. નરેશભાઈ સમાજની સંસ્થાના અગ્રણી છે. કોઈપણ પાર્ટી કોઈને પણ તેમની સાથે જોડી શકે છે. નરેશ પટેલ પોતે જાહેરાત ન કરે ત્યાં સુધી કંઇ કહી ન શકાય કારણ કે બધાને પોતાનો નિર્ણય લેવાનો હક્ક છે.
બક્ષીપંચની સહાય મુદ્દે આર-પાર
અમિત ચાવડાના આક્ષેપો અંગે જીતુ વાઘાણીએ પલટવાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ બક્ષીપંચ સમાજની વાત કરી શકવાની સ્થિતિમાં નથી કારણ કે બક્ષીપંચને બંધારણીય દરજ્જો ભાજપ સરકારે અપાવ્યો, વચેટિયા વગર સહાય ચૂકવવાનું કામ ભાજપ સરકારે કર્યું. કોંગ્રેસની કટકી કરવાનું કામ હવે પૂર્ણ થયું છે કારણ કે હવે સીધી સહાય લોકોને તેમના ખાતામાં મળી રહી છે.