ભાવનગરના તળાજા અને મહુવા પંથકના ગામો બંધ પાળીને ખેડૂતો અલ્ટ્રાટેક સિમેન્ટ માઇનિંગનો વિરોધ કરી રહ્યા છે. અસરગ્રસ્ત 13 જેટલા ગામોના લોકો અહિંસક રીતે અનિશ્ચિતકાળ સુધી બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે. આજે ખેડૂતોના વિરોધનો બીજો દિવસ છે.
બીજા દિવસે પણ 13 ગામો સજ્જડ બંધ રહ્યા છે. બાળકોને પણ વાલીઓએ શૈક્ષણિક કાર્યથી દૂર રાખ્યા છે. બીજા દિવસે ગ્રામજનો ઊંચા કોટડામાં ચામુંડા માતાજીના મંદિરે ધરણા પર બેઠા છે. આ વિરોધમાં કળસાર દયાળ ઊંચા અને નિચા કોટડા તક્ષી બાંભોર ભાટીકડા મધુવન ઝાંઝમેર ગઢુંલા રેલીયા નવા જૂના રાજપરા સહિતના ગ્રામજનો જોડાયા છે.
ગતરોજથી બાળકોનું શિક્ષણ કાર્ય કરાવાયું છે બંધ
ભાવનગરમાં ખેડૂતો જમીન માટે જંગ લડી રહ્યાં છે. એક પછી એક ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવતા માઈનિંગ અને જમીન સંપાદનનાં વિરોધમાં ખેડૂતો લડત ચલાવી રહ્યાં છે. હાલમાં ભાવનગરનાં તળાજા અને મહુવા પંથકમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનાં માઈનિંગનો વિરોધ ચાલી રહ્યો છે. જેમાં અસરગ્રસ્ત 15 જેટલા ગામનાં લોકો અહિંસક રીતે અનિશ્ચિતકાળ સુધી બંધ પાળીને વિરોધ નોંધાવી રહ્યાં છે.
માઈનિંગ પ્રોજેક્ટને પૈસાનાં જોરે મંજૂરી આપી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે. તો આ પૂર્વે પણ ભાવનગરનાં બાડી-પાડવા ગામમાં GPCL સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો. જેમાં કંપનીને 20 વર્ષ પૂર્વે જમીન સંપાદન કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોએ જમીન સંપાદનનાં વિરોધમાં રોષ ઠાલવીને આંદોલન ચલાવ્યું હતું.
બીજી બાજુ ભાવનગરમાં અલ્ટ્રાટેક સિમેન્ટનાં માઈનિંગના વિરોધમાં ગ્રામજનો ઉંચા કોટડા ગામમાં પહોંચ્યાં છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો ધરણાં પર બેઠાં છે. 13 ગામનાં લોકો ધરણાં પર ઉતર્યા છે અને ચામુંડા માતાનાં દેવસ્થાને તેઓ ધરણાં પર બેઠા છે અને ન્યાય ન મળે ત્યાં સુધી ધરણાં પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો બીજી તરફ ઉંચા કોટડા ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હમણાં બે દિવસ પહેલાં પણ ભાવનગરમાં અલ્ટ્રાટેક માઈનિંગનાં વિરોધમાં દયાળ ગામે ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં મહુવા તેમજ તળાજાનાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં.
આ બેઠકમાં ખેડૂતોએ જીવ આપીને પણ માઈનિંગ ન કરવા દેવા અંગે નિર્ણય કર્યો હતો. આ સાથે જ આ મામલે સરકાર દ્વારા બેઠક યોજીને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે. ત્યારે આગામી દિવસોમાં ફરીથી માઈનિંગને લઈને ઘર્ષણ થાય તેવા એંધાણ વર્તાયાં છે.