ભાવનગરના જેસર તાલુકાના શાંતિનગર ગામે ગત મે મહિનામાં મનરેગા હેઠળ મૃતકોના નામ પણ દાડિયા પત્રકમાં સમાવેશ કરી તેઓને પણ ચૂકવણું કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. જે મામલે હવે વિસ્તરણ વિભાગના અધિકારીઓને તપાસ સોંપાઇ છે. ત્યારે હવે આ સમગ્ર મામલે વિસ્તરણ વિભાગના અધિકારીએ તપાસ હાથ ધરી છે. અધિકારીઓ ઘરે-ઘરે જઇને શ્રમિકોની પૂછપરછ કરશે. મહત્વનું છે કે, જેસરના શાંતિનગરમાં મૃતકોને પૈસા ચૂકવાયા હતાં. 5થી 7 મૃતકોના નામે લાખોની રકમ ચૂકવાઇ હતી.
શાંતિનગર ગામે ગત મે મહિનામાં શ્રમ કાર્ય અને ચૂકવણાં સ્થાનિક તંત્ર વાહકો દ્વારા હદ પાર ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો છે. ત્યારે હવે આ મામલે હવે વિસ્તરણ વિભાગના અધિકારીઓ ઘરે-ઘરે જઈને મનરેગા હેઠળ કામ કરેલાઓની તપાસ કરી રહ્યાં છે. આ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, મનરેગા યોજના હેઠળ સરકાર વર્ષમાં વ્યક્તિદીઠ 100 દિવસની રોજગારી આપે છે. જે અનુસંધાને જેસર તાલુકાના શાંતિનગર ગામે પણ મનરેગા યોજના હેઠળ પાણીનો સંગ્રહ અને તળ ઊંચા આવે એ માટે ખોદકામ કર્યું હતું. ત્યારે ગત મે મહિનામાં શાંતિનગર ગામમાં મનરેગા યોજના હેઠળ 500થી વધુ લોકોને 6825 દિવસની રોજગારી આપી 14.46 લાખનું ચુકવણું કર્યું છે. પરંતુ જે લોકોએ કામગીરી કરી છે તે પૈકી અનેક લોકો તો લાંબા સમય પહેલાં જ મૃત્યુ પામ્યા છે. આ રીતે સુરત સહિતના શહેરોમાં સ્થળાંતર કરેલા તેમજ સાસરે ચાલી ગયેલી દીકરીઓના નામે કામગીરી દેખાડી લાખોની ચૂકવણી થઇ છે.
માત્ર એટલું જ નહીં પરંતુ પોલીસ ચોપડે પણ જે લોકો ફરાર છે તેઓના નામ પણ દાડીયા પત્રકમાં સામેલ છે. જેના તમામ પુરાવાઓ સાથે DDOને રજૂઆત કરાઇ છે. જો કે, આ ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી જતાં જેસરના વિસ્તરણ અધિકારી સહિતનાને આ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે. તપાસ કમિટીની ટીમ ઘરે-ઘરે જઈને પૂછપરછ કરશે અને હાલમાં ક્રોસ વેરિફિકેશન પણ લગભગ શરૂ કરી દેવાયું છે.