ભાવનગર મનપામાં ભાજપની ટર્મ પૂર્ણ થતા વહીવટદારનું અણઘડ શાસન સામે આવ્યું છે. મનપા પર 322 કરોડનું દેવું હોવા સામે આવતા વિપક્ષે ભાજપ શાસકો પર ખોટા કાર્યક્રમો કરી મનપાને ખોટમાં ઉતાર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તો બીજી તરફ શાસક પક્ષ ભાજપે 5 વર્ષમાં સૌથી વધુ વિકાસ થયા હોવાનો દાવો કર્યો છે.
ભાવનગર મનપા પર 322 કરોડનું દેવું
મનપા વિપક્ષે ભાજપ શાસકો પર કર્યા આક્ષેપ
ખોટા કાર્યક્રમો કરી અને મનપાને ખોટમાં ઉતાર્યાનો આક્ષેપ
ભાજપે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વિકાસ થયાનો કર્યો દાવો
ભાવનગર મહાનગરપાલિકામાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રસ આમને સામને જોવા મળ્યા છે. તાજેતરમાં 5 વર્ષની ટર્મ પુરી થતા મનપામાં વહીવટદારનું શાસન આવ્યું છે.
જો કે ભાવનગર મનપા પર 322 કરોડનું દેવું છે તેવી વિગતો વિપક્ષે જાહેર કરી છે અને વિપક્ષનો આક્ષેપ છે કે શહેરમાં વિવિધ કાર્યક્રમોના તાયફા યોજી શાસક પક્ષ ભાજપે મનપાને ખોટના ખાડામાં ઉતારી દીધું છે.
ભાવનગર મનપામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. જ્યારે કોંગ્રેસ સત્તાથી દૂર રહ્યું છે. જો કે વિપક્ષ પાસે માત્ર વિરોધ કરવા સિવાય કશું જ બચ્યું નથી. જ્યારે બીજી બાજુ ભાજપ વિકાસના મુદ્દાઓ અને પોતે કરેલા કાર્યોની સિદ્ધિઓ વર્ણવી 25 વર્ષથી સત્તા મેળવી રહ્યું છે.
2015માં ભાજપને 34 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 18 બેઠક મળી હતી. જેમાં કેટલીક બેઠકો તો કોંગ્રેસે માત્ર નજીવી સરસાઇથી ગુમાવી હતી. મનપામાં છેલ્લા 5 વર્ષમાં વિકાસના સૌથી વધુ કામ થયા હોવાના ભાજપના દાવાનું ખંડન કરતા વિપક્ષનું કહેવુ છે કે સભામાં પૂછાયેલા સવાલ દરમિયાન સરકારી ચોપડે જ 322 કરોડ રુપિયાનું દેવું હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ 199 કરોડ ઇરીગેશન વિભાગને ચૂકવવાના છે જ્યારે પીએફની રકમ 40 કરોડની છે.
ભાવનગર મનપા દ્વારા રોડ, રસ્તા અને પાણી તેમજ નવા તળાવો બનવા તેમજ અન્ય ડેવલોપમેન્ટ કાર્યો કર્યા હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે શહેરમાં નારી રોડથી દેસાઇનગર સુધી સિક્સલેન રોડનું કામ હાલ હજુ પણ પૂર્ણ થયું નથી.