ભાવનગરઃ અપહરણ લૂંટ કેસમાં નવો વળાંક આવ્યો છે. 2 દિવસ પહેલા 4 લોકોનું અપહરણ થયુ હતું. અપહરણકારોએ કાર વેરાવળથી ભાડે રાખી હતી. 2 યુવકો સાથે કારનો માલિક પણ સાથે હતો. કાર માલિકને કેફી પીણુ પીવડાવી લૂંટારાઓ તળાજા ફગાવી દીધો હતો. 2 દિવસ બાદ કાર માલિક બેભાન હાલતમાં તળાજા નજીકથી મળ્યો હતો. 4 લોકો પૈકી 1 મહિલાનું આજે મોત નિપજ્યું છે.
ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા અને ફરસાણ બનવવાનું કામ કરતા એક શ્રમજીવી અને તેની સાથે મદદમાં કામે લાગેલી 3 મહિલા 2 દિવસ પહેલા ત્રાપજ ગામે ફરસાણ બનાવીને પરત આવતા હતા. ત્યારે એક કાર ચાલકે લિફ્ટ આપીને તેમનું અપહરણ કર્યું હતું. આ 4 લોકોને સીદસર ગામ નજીક કેફી પીણું પીવડાવી બેભાન બનાવીને મહિલાના સોનાના દાગીનાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં 3 મહીલાઓ બેભાન હાલતમાં રહેલ જેમાંથી એક મહિલાનું મોત થતા હવે લૂંટારાઓ હત્યારા બન્યા છે. પોલીસે અપહરણ વપરાયેલી કાર કબ્જે લીધી છે પણ લૂંટારાઓનો પત્તો લાગ્યો નથી.
પોલીસને જે કાર મળી છે તે વેરાવળ-સોમનાથની હોવાનુ સામે આવ્યું છે. એટલું જ નહીં કારના ડ્રાઇવરને 2 લૂંટારાઓ દીવ જવાનું કહી કાર ભાડે લીધી હતી. જો કે આ લૂંટારાઓએ કારના ડ્રાઇવરને પણ કેફી પીણુ પાઈને તળાજા નજીક ઉતારી દીધો હતો. જે આજે બેભાન હાલતમાં મળી આવતા પોલીસે તેને સારવાર અર્થે ખસેડ્યો હતો.
આ લૂંટારા કોણ હશે શા માટે કાર ભાડે કરી શા માટે ત્રાપજના આ 4 લોકોને બેસાડીને અપહરણ કર્યું અને લૂંટ ચલાવી? તે મુદ્દાને લઇને પોલીસે તાપસ કરી રહી છે. આ ઘટનામાં 1 મહિલાના મોત બાદ હવે લૂંટારા સામે હત્યાનો ગુનો પણ લાગશે.