ભાવનગરના ખેડૂતોમાં ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માગ કરી છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે ભારે વરસાદને પગલે ડુંગળીનો પાક ધોવાઈ ગયો છે અને નવા પાકને આવતા હજુ સમય લાગશે.
ડુંગળીની નિકાસ બંધીથી ખેડૂતો નાખુશ
વેપારીઓએ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો
ડુંગળીના ભાવો તળિયે બેસવાનો ખેડૂતોનો દાવો
ત્યારે હાલ જેમની પાસે ડુંગળીનો જથ્થો પડ્યો છે તેના ભાવો પૂરતા મળી રહે તેમ છે તેવા સમયે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવો તળિયે બેસી જશે.
ભાવનગર જિલ્લામાં લાલ ડુંગળીનું ઉત્પાદન વધુ
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં લાલ ડુંગળીનું ઉત્પાદન વધુ થાય છે અને તેની ગુજરાત અને અન્ય રાજ્યોમાં સારી એવી માગ રહે છે. ત્યારે ડુંગળી ખરીદતા વેપારીઓએ પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તો માર્કેટિંગ યાર્ડના ચેરમેને પણ આ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને યોગ્ય રજૂઆત કરવાની બાંહેધરી આપી છે.
રાજકોટના ખેડૂતોએ પણ કરી માગ
ડુંગળીની નિકાસ બંધીથી ખેડૂતો ખુશ નથી. જેને લઇને ભારતીય કિસાન સંઘના પ્રમુખે કહ્યું કે ડુંગળી નિકાસ બંધ ન થવી જોઇએ. સરકારે નિર્ણય બદલવાની જરૂર છે. નિકાસ બંધ થવાથી ખેડૂતોને નુકસાની ભોગવવી પડશે.