ભાવનગર: છેલ્લા કેટલાક સમયથી બંધ રહેલી અમદાવાદ ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન આગામી માસથી ફરી દોડવા લાગશે. આ અંગેની મંજૂરી કેન્દ્રના રેલવે મંત્રાલય તરફથી મળી જતાં ફેબ્રુઆરીમાં આ ટ્રેન શરૂ થશે. ભાવનગરથી અમદાવાદ થઇ ગાંધીનગર સુધી લંબાવાશે.
ઉલ્લેખનીય છે કે બોટાદ અમદાવાદનો રેલમાર્ગ બ્રોડગેજ રૂપાંતર પ્રક્રિયાને કારણે બંધ છે. તેના વિકલ્પરૂપે સુરેન્દ્રનગર-ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન દોડાવવાની રજુઆત કેન્દ્રમાં કરી હતી.ભાવનગર અમદાવાદ રૂટ પર એક ટ્રેન દોડાવવાની માંગ ઘણા સમયની હતી.
જેને હજુ સુધી મંજુરી મળી નહોતી. હવે ટૂંક સમયમાં ભાવનગરથી ગાંધીનગર વાયા અમદાવાદ ટ્રેન શરૂ થઇ રહી છે. આ ટ્રેનને પાંચ કલાકનો સમય લાગશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર અમદાવાદ વચ્ચે કોઇ સીધી ટ્રેન વ્યવસ્થા નહીં હોવાના કારણે રોજની સરેરાશ ર૦થી વધુ એસટી બસ અને પ૦થી વધુ લકઝરી બસ સહિત ખાનગી વાહનોમાં લોકો મુસાફરી કરી રહ્યા છે જેમાં ભાવનગર અને અમદાવાદ પહોંચવામાં સાડા ત્રણ કલાક લાગે છે.
આ અંગે ભાવનગર રેલવેના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશુક અહેમદે જણાવ્યું હતું કે ટ્રેનની મંજૂરી મળી ગઇ છે. તે ભાવનગરથી ગાંધીનગર ટ્રેનની મળી છે.
અમદાવાદ સ્ટેશને ઊતરવા ઈચ્છનારા મુસાફરોએ આંબી સ્ટેશને ઊતરવું પડશે. ભાવનગર ગાંધીનગર વચ્ચે દોડનારી ઇન્ટરસિટી ટ્રેન ભાવનગર સિહોર ધોળા વીરમગામ અને અમદાવાદ આંબલી રોડ સ્ટેશને ઊભી રહેશે જે સાંજે ચાર કલાકે ભાવનગરથી ઉપડી રાત્રે ૧૧ કલાકે અમદાવાદ આવશે.