ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સેવાનું આખરે ધીમેધીમે બાળમરણ થવા જઈ રહ્યું હોઈ તેવા દિવસો સામે આવી રહ્યાં છે. દહેજ-ઘોઘા રો-રો ફેરી પ્રોજેક્ટ અમલમાં નહોતો મૂકાયો ત્યારથી જ ચર્ચામાં રહ્યો છે.
PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બંધ થવાને આરે
રો-રો ફેરી બે વર્ષમાં વેચવા કાઢી
કંપનીની જહાજ વેચવાની તૈયારી
હાલ દહેજ-ઘોઘા રો-રો ફેરી માટે ઉપયોગમાં લેવાતું જહાજ કંપનીએ વેચવા કાઢ્યું છે. સુરતની ઈન્ડિગો સીવેવ્સ નામની કંપની દહેજ-ઘોઘા રો-રો ફેરીનું સંચાલન કરે છે. આ કંપની દ્વારા સર્વિસ શરૂ કરાઈ ત્યારે જેડ આયલેન્ડ નામનું જહાજ ખરીદવામાં આવ્યું હતું. જેમાં માત્ર પેસેન્જરો જ સવાર થઈ શકતા હતા.
PM મોદીએ શરૂ કરાવ્યો હતો આ પ્રોજેક્ટ
નોંધનીય છે કે, PM મોદીએ આ જ જહાજ બેસીને રો રો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીએ આ જહાજ વેચવા વર્તમાનપત્રમાં જાહેરખબર આપી છે. કંપનીના માલિકના જણાવ્યા મુજબ કંપની જંગી ખોટ કરી રહી છે અને આથી જ જેડ આયલેન્ડ નામનું જહાજ વેચી દેવાની કંપનીની ગણતરી છે. જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સે PM મોદીને પત્ર લખ્યો છે અને રોજગારીને અસર થશે તેવી ભીતિ વ્યક્ત કરીને રો-રો ફેરી વ્યવસ્થિત રીતે શરૂ થાય તે માટે પ્રયત્ન કરવા કહ્યું છે.
કોંગ્રેસ લગાવ્યા બેદરકારીના આરોપ
તો કોંગ્રેસ પણ 700 કરોડનો આ પ્રોજેક્ટ સરકારના બેદરકારીને કારણે નિષ્ફળ જશે તેવો આક્ષેપ કર્યો છે. ત્યારે ભાજપ કોઈ પણ સંજોગોમાં સરકાર આ ફેરી ફરી વખત શરૂ કરવા મક્કમ છે તેવા ગાણા ગઈ રહ્યું છે.
રો-રો ફેરી છેલ્લા બે મહિનાથી બંધ હાલતમાં
આપને જણાવી દઈએ કે, 2017માં શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સર્વિસ દરિયામાં પાંચ મીટર જેટલી ઉંડાઈ ન મળવા ને કારણે છેલ્લા બે મહિનાથી બંધ છે અને હજુ તે ચાલુ થાય તેવી શક્યતા નથી. અગાઉ પણ પાણી ઉંડું ન હોવાને કારણે એન્જિનમાં રેતી ફસાઈ જતા રો-રો ફેરીને ઘણા સમય સુધી બંધ રાખવી પડી હતી.