ભાવનગરઃ મેથળા ગામમાં છેલ્લા ઘણા સમયથી ખારા પાણીના કારણે ગ્રામજનો પરેશાન હતા. ત્યારે હવે 15 ગામના લોકો દ્વારા બંધારો બાંધવામાં આવ્યો છે. ગામમાં બંધારાની સફળ કામગીરી થતા ગ્રામજનો દ્વારા ઉજવણી કરવામાં આવશે. 40 ગામના લોકો દ્વારા સફળ કામગીરીની ઉજવણી કરવામાં આવશે. મોટી સંખ્યામાં ગામના લોકો ઉજવણી કરશે. મહત્વનુ છે કે છેલ્લા 22 વર્ષથી સરકાર પાસેથી માગ કરવામાં આવી રહી હતી. પરંતુ સરકાર દ્વારા કામ ન કરવામાં આવતા ગ્રામજનો દ્વારા સ્વખર્ચે બંધારાનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.
મહત્વનું છે કે જિલ્લાની બગડ નદીમાં એકઠું થતું વરસાદી પાણીને રોકવા ઉંચા કોટડાના દરિયા વચ્ચે એક બંધારો બાંધવાની યોજના રાજ્ય સરકાર છેલ્લા 35 વર્ષથી ટલ્લે ચઢાવી રહી છે. ત્યારે તળાજા અને મહુવા સહિતના 15 ગામના ખેડૂતો અને ગ્રામજનોએ ભેગા મળી બંધારો બાંધવાની શરૂઆત કરી હતી. હવે આ બંધારો તૈયાર પણ થઈ ચુક્યો છે. ત્યારે દરિયાકીનારે 1 કિલોમીટર લાંબો બંધારો તૈયાર કરવા ગ્રામજનોને સ્થાનિકો અને દાતાઓ દ્વારા ભંડોળ ભેગુ કર્યું હતું. તો બહેનો અને નાના ભુલકાઓ પણ સાહસિક કાર્યમાં પોતાનું યોગદાન હર્ષો ઉલ્લાસથી આપ્યું હતું.
હવે બંધારાના ફાયદા પર એક નજર કરીએ તો 35 થી 40 ગામના લોકોને આ બંધારા થકી મીઠુ પાણી મળશે. 10 થી 11 ગામને આ બંધારાનો સીધો ફાયદો થશે. અન્ય લોકોને આડકતરી રીતે ફાયદો થશે. તો ખેડૂતોને પણ આ બંધારાનો મોટો ફાયદો થશે. એક મોટા ડેમ જેટલા પાણીનો સંગ્રહ આ બંધારામાં થશે. આ બંધારામાં 655 MCFT પાણીનો સંગ્રહ થશે. 1575 હેક્ટરમાં પાણીનો થશે સંગ્રહ. તો મીઠા પાણીના પરબની પણ સ્થાનિકો હાલ આશા સેવી રહ્યા છે. જેના માટે સ્થાનિકોએ 35થી 40 લાખનો ખર્ચ પણ કરી નાંખ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર જીલ્લામાં ઓછા વરસાદને કારણે સમયાંતરે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થતી હતી. તેથી સ્થાનિકો છેલ્લા 35 વર્ષથી રાજ્ય સરકારને રજૂઆત કરતા હતા. જોકે છેલ્લા 35 વર્ષથી જેટલી સરકાર રાજ્યમાં આવી તે તમામ સરકારોએ બંધારાને લઈ આંખ આડા કાન કર્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.