ભાવનગરમાં ભાલ પંથકના નવા માઢિયાની જમીન મામલે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે. જમીન મીઠાના અગરને ફાળવવા સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર ભાલ પંથકના 13 ગામોમાં 20 હજાર એકર જમીન મીઠાના અગરોને ફાળવી દેવાતા વિરોધનો સૂર ઉઠ્યો છે. જેમાં ખેડૂતોની મરજી વગર જમીન સંપાદન કરાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને આ મામલે સીએમ રૂપાણી ખેડૂતોના હક્કમાં કંઈક કરે તેવી માંગ ઉઠી રહી છે.
ભાવનગર ભાલ પંથકના નવા માઢિયા વિસ્તારની જમીનનો મામલો
જમીન મીઠાના અગરને ફાળવવા સામે ખેડૂતોમાં રોષ
ખેડૂતોને ખેતી માટે કાયમી જમીન આપવા ખેડૂતોની માંગ
ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતો પર દબાણ કરી અને જમીન અપાઇ છે. તંત્રએ જમીન પર ખેતી ન થતી હોવાનો રિપોર્ટ બળજબરીપૂર્વ બનાવ્યો છે. ખેડૂતોએ માગ કરી છે કે આ અંગે સીએમ રૂપાણી અને રાજ્યપાલે દરમિયાનગીરી કરી અને એસઆઇટીની રચના કરી તપાસ કરવી જોઇએ.
ખેડૂતોએ આંદોલનાત્મક અને કાનૂની જંગ શરૃ કર્યો
ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ખેડૂતો ખેતીલાયક જમીન બચાવવા માટે જંગ લડી રહ્યા છે. ભાલ પંથકના 13 ગામની 20 હજાર એકર ખેતીલાયક જમીન મીઠાના અગરો માટે ફાળવવાના જિલ્લા કલેક્ટરના આદેશ સામે ખેડૂતોએ આંદોલનાત્મક અને કાનૂની જંગ શરૃ કર્યો છે. જો આ નિર્ણયની પુનઃવિચારણા નહીં થાય તો ખેડૂતોએ સંદર્ભે લડી લેવાનો નિર્ધાર જાહેર કર્યો છે.
કયા કયા ગામ છે સામેલ?
ભાવનગર જિલ્લાના ભાલ પંથકના કોટડા, સનેશ, કાળાતળાવ, નર્મદ, ખેતાખાટલી, નવા-જૂના માઢિયા, પાળિયાદ, દેવળિયા, કરદેજ, કમળેજ સહિતના ગામોની કુલ મળીને 20 હજાર એકર ખેતીલાયક જમીન મીઠાના અગરો માટે ફાળવી દેવાના ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરાયેલ છે.
શું છે મામલો?
13 ગામોની 20 હજાર એકર જમીન મીઠા ઉદ્યોગોને ફાળવી દેવામાં આવી છે. જેને લઈને ગ્રામજનોમાં તીવ્ર આક્રોષ પ્રવર્તી રહ્યો છે. જો મીઠાના અગર થાય તો ખેતીલાયક જમીન નષ્ટ થાય તેમ છે. ભાલ પંથકમાં રોજગારનું અન્ય કોઈ સાધન નથી અને ગ્રામજનોની આજીવિકાનો આધાર માત્ર ખેતી છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં વેળાવદર કાળિયાર અભયારણ્ય આવેલ છે. આથી આ જમીન પર મીઠા ઉદ્યોગથી ખેતીલાયક જમીન નષ્ટ થવાથી ગ્રામજનોની આજીવિકા તો છીનવાશે જ પણ પર્યાવરણીય સમતુલાને પણ ગંભીર અને વિઘાતક અસર પહોંચે તેમ છે.
અગાઉ 2003-04માં કોર્ટે નાપાડી છતાં જમીન ફાળવાઈ
આજથી બારેક વર્ષ અગાઉ જ્યારે ભાલ પંથકની જમીન મીઠા ઉદ્યોગને ફાળવવા માટે માગણી થઈ ત્યારે મામલો ભાવનગર કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે વર્ષ 2003-04માં ચૂકાદો આપી જમીન ફાળવવાનો હુકમ રદ્દ કર્યો હતો છતાં આ જમીનની ફાળવણી મીઠા ઉદ્યોગ માટે તાજેતરમાં કરી દેવાઈ છે એટલું જ નહીં, ભાલના 13 ગામની 20 હજાર એકર લોકોના વિરોધ છતાં મીઠા ઉદ્યોગને આપી દેવાઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે.